તળાજા તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ગોપનાથ મહાદેવ મંદિર ખાતે ઈકો કાર લઈને ફરવા આવેલા યાત્રાળુઓ પર હુમલો કરનાર ચાર આરોપીઓને દાઠા પોલીસ અને અમરેલી એસ.ઓ.જી.ની મદદથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા છે.
ઘટનાની વિગત મુજબ, પીથલપુર-ગઢુલા રોડ પર કેટલાક શખ્સો બોલેરો ગાડી સાથે જીવલેણ સ્ટંટ કરી રહ્યા હતા. સાવરકુંડલાના નેસડી ગામના યાત્રાળુ બાવચંદભાઈ પ્રવિણભાઈ મકવાણા અને તેમના સાથીઓએ “આમ રોડ પર સ્ટંટ ન કરાય, અકસ્માત થશે” તેમ કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ યાત્રાળુઓ પર હિંસક હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તોને પ્રથમ તળાજા અને વધુ સારવાર માટે ભાવનગર રીફર કરાયા હતા.
આ અંગે દાઠા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ કે. સી.રેવરને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપીઓ ગુનો આચરી અમરેલી ભાગી ગયા છે. જેથી પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદથી અમરેલીથી ચારેય આરોપીઓ અજય રામજીભાઈ ભાલીયા, મહેશ હિમ્મતભાઈ મકવાણા, રોહિત શંભુભાઈ મકવાણા અને વિશાલ જેન્તીભાઇ બારેયાને બોલેરો ગાડી સાથે ઝડપી લીધા હતા.
બોક્સ…
GRD જવાનની બેદરકારી અને જોહુકમીની લોકમુખે ચર્ચા
પીથલપુર પંથકમાં થતી ચર્ચા મુજબ, ઘટના સમયે એક જી.આર.ડી. સ્ટાફને તુરંત જાણ થઈ હોવા છતાં તેમણે કોઈને પણ માહિતી આપી ન હતી. આ જી.આર.ડી. જવાન અગાઉ પણ તહેવારો અને મેળાઓમાં નાના સ્ટાફના પોઈન્ટ બદલવા કે સહી કરવા બાબતે વિવાદમાં આવી ચૂક્યા છે. પોતે મોટા અધિકારી હોય તેવી ડંફાસ મારતા આ જવાનની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


