વિકસિત ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત સિહોર તાલુકાના સણોસરા સ્થિત લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ ખાતે એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સી (ATMA) અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) દ્વારા પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાયો હતો.
આ કાર્યશાળામાં પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો, તેના ફાયદા અને માનવ જીવનમાં તેના મહત્વ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુજાનસિંહ ગોહિલ અને લોકભારતીના નિયામક ડૉ. અરુણ દવેએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું.
જ્યારે માસ્ટર ટ્રેનર મહેન્દ્રભાઈ કવાડે પ્રાકૃતિક કૃષિના આયામો અને ‘આત્મા’ના પ્રોજેક્ટ ડિરેક્ટર જે. એન. પરમારે ખેત બચાવો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. નાયબ બાગાયત નિયામક એમ. બી. વાઘમશીએ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી તેમજ વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. નિગમ શુક્લાએ તેના માનવજીવન પર થતા ફાયદાઓ સમજાવ્યા હતા. અંતમાં, સફળ ખેડૂતોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને મહાનુભાવોએ કૃષિ સ્ટોલની મુલાકાત લીધી હતી.



