મધ્ય પૂર્વ (મિડલ ઇસ્ટ) માં ચાલી રહેલા ઇરાન સંઘર્ષ અને હોર્મુઝ સંકટના કારણે ઊભા થયેલા ભયના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. દેશમાં ઇંધણની કોઈ અછત નથી, પરંતુ લોકોમાં ફેલાયેલા ડરનો સંગ્રહખોરો ફાયદો ન ઉઠાવે અને કૃત્રિમ અછત ઊભી ન થાય તે માટે સરકારે સામાન્ય પેટ્રોલ પંપો પર હાઈ સ્પીડ ડીઝલના વેચાણ પર મર્યાદા નક્કી કરી દીધી છે. હવે ગ્રાહકોને 1 દિવસમાં 200 લીટર ડીઝલ જ મળી શકશે.
શુક્રવારે જાહેર કરાયેલા નવા સરકારી આદેશ અનુસાર, હવેથી સામાન્ય છૂટક પેટ્રોલ પંપ પરથી કોઈ પણ ગ્રાહક એક દિવસમાં મહત્તમ ૨૦૦ લીટરથી વધુ ડીઝલ ખરીદી શકશે નહીં. કાળાબજારી રોકવા અને બજારમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની સરળ ઉપલબ્ધતા જાળવી રાખવા આ કડક આદેશ જારી કરાયો છે.
વ્યાવસાયિક કે ઔદ્યોગિક જરૂરિયાતો માટે મોટી માત્રામાં ઇંધણ મેળવતા ગ્રાહકો હવે સામાન્ય રિટેલ પંપ પરથી ખરીદી નહીં કરી શકે. તેમણે નિર્ધારિત ડેપો અથવા સત્તાવાર પંપો પરથી જ પુરવઠો લેવો પડશે, જેથી સામાન્ય ગ્રાહકોના નેટવર્ક પર દબાણ ન આવે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વ્યવસ્થા તદ્દન અસ્થાયી છે અને મહત્તમ ૯૦ દિવસ સુધી પ્રભાવી રહેશે. આગામી સમયમાં પરિસ્થિતિની સમીક્ષા કરીને નવો નિર્ણય લેવાશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અને પેટ્રોલ પંપ સંચાલકોને આ નિયમનું કડકાઈથી પાલન કરવા જણાવાયું છે, જેથી સામાન્ય નાગરિકો, કૃષિ ક્ષેત્ર અને વાહનવ્યવહાર સેવાઓને ડીઝલનો પુરવઠો નિયમિત મળતો રહે.
