શહેરના ઘોઘારોડ પર વર્ષ ૨૦૨૪ની દીવાળીની રાત્રે થયેલી ડો. શિવરાજભાઈ લાખાણીની ચકચારી હત્યાના કેસમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવાની અદાવત રાખી, જામીન પર છૂટેલા બુલેટગરોએ પીડિત પરિવાર પાસે રૂ.૪ થી ૫ લાખની ખંડણી માંગી ઘરમાં ઘૂસી હુમલો કર્યો હોવાની સળગતી ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
બનાવ અંગે મળતી માહિતી મુજબ, હત્યાના ભોગ બનનાર ડો. શિવરાજભાઈ અને તેમના દીકરાને હોસ્પિટલ ભેગા કરનાર વ્યક્તિના પત્નીએ ફરિયાદ નોંધાવી છે કે, આ કેસમાં જામીન પર મુક્ત થયેલા પ્રકાશ ઉર્ફે પકો, લાલો ઉર્ફે છત્રી, હિતેશ ડાભી, ચિરાગ ઉર્ફે ભાણો રાઠોડ અને દેવ ઉર્ફે અગુ અવારનવાર ધાકધમકી આપી જામીન ખર્ચના પૈસા માંગતા હતા. હિતેશ ડાભીએ અગાઉ બે કટકે રૂ.૨૦,૦૦૦ બળજબરીથી કઢાવી લીધા હતા.
ગત તા. ૧૦ જૂના રોજ આરોપી લાલાએ વોટ્સએપ કોલ કરી ધમકી આપતા પિતા-પુત્ર તેને મળવા ગયા હતા. આ તકનો લાભ લઈ તમામ આરોપીઓએ એકસંપ થઈ મહિલાના ઘરમાં ઘૂસી ગાળો ભાંડી હતી. આરોપી ચિરાગ ભાણાએ મહિલાને પીઠના ભાગે લોખંડના પાઇપના બે ઘા મારી મૂઢ ઇજા પહોંચાડી હતી, તેમજ ફળિયામાં પડેલી મોટરસાયકલમાં તોડફોડ કરી રૂ.૨૫,૦૦૦નું નુકસાન કર્યું હતું. આ બનાવ અંગે પોલીસે મહિલાની ફરિયાદના આધારે BNS ની કલમ ૩૦૮(૪), ૩૦૮(૫), ૧૯૧(૨), ૩૨૪(૪), ૩૫૧(૩) અને જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ મુખ્ય ચાર શખ્સો પ્રકાશ ઉર્ફે પકો રાજુભાઈ, ચિરાગ ઉર્ફે ભાણો લક્ષ્મણભાઈ રાઠોડ, દેવ ઉર્ફે અંગુર તથા મેહુલ રમેશભાઈ ચુડાસમાને ઝડપી લીધા હતા.




