ભારત સરકારના આયુષ મંત્રાલય તથા ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ 12મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ–2026ની ઉજવણી નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા “Yoga for Healthy Ageing (યોગ દ્વારા તંદુરસ્ત વૃદ્ધાવસ્થા)” થીમ આધારિત વિવિધ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંતર્ગત મુખ્ય શહેરસ્તરીય કાર્યક્રમ તા. 21ને, રવિવારના રોજ સવારે 5:30 કલાકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સિદસર રોડ, ભાવનગર ખાતે યોજાશે. કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ, લોકપ્રતિનિધિઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી સામૂહિક યોગાભ્યાસ કરશે.
વિશ્વ યોગ દિવસની ઉજવણીને શહેરના દરેક ખૂણે પહોંચાડવાના હેતુથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ 13 વોર્ડમાં વોર્ડવાઇઝ યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. દરેક વોર્ડમાં સ્થાનિક નાગરિકો, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, રહેણાંક સોસાયટીઓ તથા વિવિધ સામાજિક સંસ્થાઓની સક્રિય ભાગીદારી સાથે સામૂહિક યોગાભ્યાસ યોજાશે.
આ ઉપરાંત, વિશ્વ યોગ દિવસની ઉજવણીને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા માટે *ભાવનગરના ઐતિહાસિક બોરતળાવ ખાતે વિશેષ “આઇકોનિક યોગ કાર્યક્રમ”*નું આયોજન કરવામાં આવશે. કુદરતી અને મનોહર વાતાવરણ વચ્ચે યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોગસાધકો, રમત-ગમત ક્ષેત્રના પ્રતિનિધિઓ, વિવિધ સામાજિક સંસ્થાઓ, યુવાનો તથા નાગરિકો એકસાથે યોગાભ્યાસ કરશે. બોર તળાવના ઐતિહાસિક અને પર્યટન મહત્ત્વને ધ્યાનમાં રાખીને યોજાનારો આ કાર્યક્રમ યોગના વૈશ્વિક સંદેશને વધુ વ્યાપક બનાવવાની સાથે ભાવનગર શહેરની આગવી ઓળખને પણ ઉજાગર કરશે.
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોજાનારા મુખ્ય કાર્યક્રમ, બોર તળાવ ખાતેના આઇકોનિક યોગ કાર્યક્રમ તેમજ શહેરના તમામ 13 વોર્ડમાં આયોજિત યોગ કાર્યક્રમોના સ્થળોએ ઉપસ્થિત નાગરિકોને નિઃશુલ્ક રોપાઓનું વિતરણ કરવામાં આવશે. નાગરિકો વધુમાં વધુ સંખ્યામાં રોપાઓનું વાવેતર કરી હરિયાળા અને સ્વચ્છ ભાવનગરના નિર્માણમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવે છે.
વિશ્વ યોગ દિવસ નિમિત્તે શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી અને ખાનગી કચેરીઓ, ઔદ્યોગિક એકમો, વેપારી સંસ્થાઓ તથા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓમાં પણ યોગ અંગે જનજાગૃતિ અને સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમો યોજવામાં આવશે.ભાવનગર મહાનગરપાલિકા શહેરના તમામ નાગરિકોને આ કાર્યક્રમોમાં ઉત્સાહભેર જોડાઈ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી *”સ્વસ્થ ભાવનગર – નિરોગી ભાવનગર”*ના સંકલ્પને સાકાર બનાવવા તેમજ પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કરાયો છે.





