લખનઉની કોચિંગમાં આગ લાગવાની ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોનાં મોત થયા છે. તેમાં 5 મહિલાઓ અને 10 પુરુષો છે. મોટાભાગના 20 થી 30 વર્ષના વિદ્યાર્થીઓ છે. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી, તે ગેરકાયદેસર હતી. તેને તોડી પાડવાનો આદેશ 2016માં થયો હતો, પરંતુ બાદમાં રદ કરવામાં આવ્યો હતો.સરકાર દ્વારા હાલ આ સમગ્ર અગ્નિકાંડની તપાસ માટે એસ.આઈ.ટી.ની રચના કરવામાં આવી છે.પોલીસે પણ ત્વરિત કાર્યવાહી હાથ ધરી ચાર શખ્સની અટકાયત કરી છે.
લખનઉ વિકાસ પ્રાધિકરણના વીસી પ્રથમેશ કુમારે જણાવ્યું- બિલ્ડિંગ માલિકને નોટિસ જારી કરીને 15 દિવસમાં જવાબ માંગવામાં આવ્યો છે. ત્યારબાદ બિલ્ડિંગ પર બુલડોઝર ચલાવવામાં આવશે. આ બિલ્ડિંગ રામેશ્વરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ કૉલેજના માલિક વીરેન્દ્ર શુક્લાની છે. પોલીસે બેદરકારીપૂર્વક હત્યાનો ગુનો નોંધીને વીરેન્દ્ર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે.
LDAના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બિલ્ડિંગને મંજૂરી આપનારા 16 અધિકારીઓ પર પણ કાર્યવાહી થઈ શકે છે. બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા નહોતી. ઇમરજન્સીમાં બહાર નીકળવા માટે કોઈ અલગ રસ્તો નહોતો. દુર્ઘટના સમયે છતનો દરવાજો પણ બંધ હતો, તેથી લોકો બહાર નીકળી શક્યા નહીં અને ગૂંગળામણથી તેમનો જીવ ગયો.
પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, ઓફિસનો મુખ્ય ગેટ થમ્બ ઇમ્પ્રેશનથી ખુલતો હતો. આગ ફેલાયા પછી ગેટ આપમેળે લોક થઈ ગયો હતો. તેને ખોલવામાં મોડું થયું, જેના કારણે અકસ્માત વધુ ગંભીર બન્યો. આ અકસ્માત સોમવારે બપોરે 2:30 વાગ્યે અલીગંજ વિસ્તારમાં ACમાં બ્લાસ્ટ થવાને કારણે થયો હતો.40 મિનિટ પછી ફાયર બ્રિગેડ પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો. SDRF-NDRF એ 7 કલાક રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું. દિવાલો તોડીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. મૃત્યુ પામેલાઓમાં યુપીના 11 લોકો છે. તેમાં લખનઉના 8, કાનપુરના 2 અને બારાબંકીનો 1 વ્યક્તિ સામેલ છે. આ ઉપરાંત, પશ્ચિમ બંગાળના 2 અને મધ્ય પ્રદેશ-હરિયાણાના 1-1 લોકોએ જીવ ગુમાવ્યા છે.






