ભાવનગર,તા.૨
ગુજરાત રાજ્યમાં જળસંગ્રહ ક્ષમતા વધારવા અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે પાલીતાણા જીલ્લાના હસ્તગીરી (જાડિયા) ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચાર (૪) મોટા ચેકડેમ નિર્માણ અને જીર્ણોદ્ધારનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સમગ્ર કામગીરી સમસ્ત મહાજન, મુંબઈના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહના વિશેષ આર્થિક સહયોગથી કરવામાં આવી રહી છે.
“ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાં” તેવા પ્રેરણાદાયી મંત્રને સાર્થક કરતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીના ટીપે-ટીપાનો સંગ્રહ કરવાના સંકલ્પ સાથે જળ સંવર્ધનના વિવિધ કાર્યો થઈ રહ્યા છે. ટ્રસ્ટ દ્વારા આ ચેકડેમોનું રિપેરિંગ કરી તેને ઊંડા અને ઊંચા કરવામાં આવ્યા છે તેમજ નવા ચેકડેમો પણ બનાવાયા છે. જેના પરિણામે વરસાદી પાણીનો વિશાળ જથ્થો રોકાશે અને જમીનમાં પાણીના તળ ખુબ ઊંચા આવશે. આનાથી માત્ર હસ્તગીરી જ નહીં, પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થવાની આશા સેવાઈ રહી છે.
નોંધનીય છે કે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સમગ્ર સ્તરે ૧,૧૧,૧૧૧ જળ સ્ટ્રક્ચર તૈયાર કરવાનો સંકલ્પ કરાયો છે, જેમાંથી ૨૦,૦૦૦થી વધુ સ્ટ્રકચર સફળતાપૂર્વક તૈયાર થઈ ચૂક્યા છે. જો દરેક સારા કાર્યોની શરૂઆત વરસાદી પાણીના યોગ્ય જતનથી થાય, તો પાણીની સમસ્યા ખુબ સરળતાથી હલ થઈ શકે છે.
સ્થાનિક ગ્રામજનોએ પણ આ કાર્યને આવકારી ગીરીશભાઈ શાહ અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ચેકડેમ નિર્માણથી ખેતીની સિંચાઈની સમસ્યા હળવી થશે અને પશુધનને પણ પીવાના પાણીની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે, જે ગ્રામીણ સમૃદ્ધિ માટે એક મહત્વનું કદમ છે. આ સેવાકીય પ્રકલ્પને સફળ બનાવવા માટે ટ્રસ્ટની ટીમ અને ગ્રામજનો ખભેખભા મિલાવીને કામ કરી રહ્યા છે.




