રોહિંગ્યા અને બાંગ્લાદેશી નાગરિકોની ગેરકાયદેસર ઘૂસણખોરી, નકલી ભારતીય દસ્તાવેજો તૈયાર કરવા
અને ભારતમાં તેમના કાયમી વસવાટ સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ
(ઈડી) એ ગુરુવારે પશ્ચિમ બંગાળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણા સહિત અનેક સ્થળોએ વ્યાપક દરોડા
પાડ્યા હતા. આંતરરાષ્ટ્રીય સરહદ દ્વારા ગેરકાયદેસર ઘૂસણખોરી, નકલી આધાર, પાન કાર્ડ અને
પાસપોર્ટ બનાવવા અને વિદેશી ભંડોળની મદદથી ઘૂસણખોરોને દેશમાં સ્થાયી કરવાના આરોપસર એક
સંગઠિત ગેંગ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઈડીએ ગુરુવારે પશ્ચિમ બંગાળના સરહદી વિસ્તારો સહિત ચાર રાજ્યોમાં
અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સી ખાસ કરીને એક સિન્ડિકેટની
ગતિવિધિઓ પર નજર રાખી રહી છે જે એફસીઆરએ હેઠળ નોંધાયેલા જાહેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યરત
છે અને આ ટ્રસ્ટોને યુકે સ્થિત ચોક્કસ સંસ્થાઓ પાસેથી ભંડોળ પ્રાપ્ત થયું છે.
તેમણે જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના સહારનપુર (દેવબંધ), દિલ્હીના જામિયા નગર, હરિયાણાના
બલ્લભગઢ (ફરીદાબાદ જિલ્લો) અને પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગના, ઉત્તર 24 પરગના અને
મુર્શિદાબાદમાં લગભગ 13 સ્થળો પર એજન્સીના લખનઉ ઝોનલ ઓફિસ દ્વારા પ્રિવેન્શન ઓફ મની
લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા.
ઈડીનો આ કેસ ઉત્તર પ્રદેશ એટીએસની એફઆઈઆર સાથે સંબંધિત છે. આ એફઆઈઆર એક એવા
સંગઠિત સિન્ડિકેટ અંગે છે જે કથિત રીતે રોહિંગ્યા અને બાંગ્લાદેશી નાગરિકોને ભારતમાં ગેરકાયદેસર
ઘૂસણખોરી કરવામાં, આધાર, પાન અને પાસપોર્ટ જેવા બનાવટી ભારતીય ઓળખ દસ્તાવેજો
બનાવવામાં અને દેશના વિવિધ ભાગોમાં તેમને વસવાટ કરાવવામાં મદદ કરવામાં સામેલ છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે એટીએસની તપાસમાં નાણાકીય નેટવર્કનો ખુલાસો થયો છે જેમાં કેટલાક
ચેરિટેબલ ટ્રસ્ટ અને સંસ્થાઓ કથિત રીતે નોંધપાત્ર વિદેશી યોગદાન મેળવે છે અને ગેરકાયદેસર
પ્રવૃત્તિઓને સરળ બનાવવા માટે તેને વિવિધ બેન્ક ખાતાઓ, મ્યૂલ ખાતાઓ અને અનેક સ્તરે નાણાની
હેરાફેરી કરતા હતા. ઈડીને શંકા છે કે ભારતમાં સ્થાયી થવા માટે શંકાસ્પદ વ્યક્તિઓને 6,000, 8,000
અને 10,000 રૂપિયાના નાના હપ્તામાં ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ બંગાળના કેટલાક સરહદી જિલ્લાઓમાં ઈડીને શંકા છે કે, એક જૂથ ગેરકાયદે રોહિંગ્યા અને
બાંગ્લાદેશીઓને ભારતમાં ઘૂસણખોરી કરવામાં મદદ કરી રહ્યું હતું. આ ગેરકાયદે ઘૂસણખોરો માટે બધા
દસ્તાવેજો તૈયાર કરવા માટે અન્ય એક જૂથ જવાબદાર હતું અને પછી તેમને આજીવિકાની શોધમાં
અથવા અન્ય હેતુઓ માટે ભારતના અન્ય ભાગોમાં મોકલવામાં આવતા હતા.






