દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા 20 દિવસથી અનશન પર બેઠેલા જાણીતા પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે મોટી સંખ્યામાં દિલ્હી પોલીસના જવાનો જંતર-મંતર પહોંચ્યા હતા અને ગણતરીની મિનિટોમાં જ સોનમ વાંગચુકને ત્યાંથી ઉપાડીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.પોલીસની આ ઓચિંતી કાર્યવાહીને પગલે આંદોલન સ્થળ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સતત 20 દિવસના ઉપવાસના કારણે સોનમ વાંગચુકની તબિયત લથડી રહી હતી અને તેમનું વજન પણ 9 કિલો કરતાં વધુ ઘટી ગયું હતું.દિલ્હી પોલીસે માત્ર સોનમ વાંગચુકને જ હોસ્પિટલ ખસેડ્યા નથી, પરંતુ જંતર-મંતર પરથી અન્ય તમામ પ્રદર્શનકારીઓને પણ હટાવી દીધા છે. આંદોલન સ્થળે લગાવવામાં આવેલા તમામ બેનરો અને પોસ્ટરો પોલીસે કબજે કરીને હટાવી દીધા છે. સોનમ વાંગચુકના સમર્થકો અને વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે, જોકે દિલ્હી પોલીસે લાઠીચાર્જના આ આરોપોને સરેઆમ નકારી દીધા છે.આ આંદોલન સાથે જોડાયેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ ના સ્થાપક અભિજીત દીપકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પછી એક અનેક પોસ્ટ કરીને દિલ્હી પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે, “દિલ્હી પોલીસે જંતર-મંતર પર કડક વલણ અપનાવ્યું છે. લોકો પર બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે અને સોનમ સરને જબરદસ્તીથી લઈ જવામાં આવ્યા છે.” દીપકે વધુમાં આરોપ લગાવ્યો છે કે પોલીસે તેમને પણ રોકી રાખ્યા હતા, તેમની સાથે મારપીટ કરી હતી અને બાદમાં કસ્ટડીમાં લઈ લીધા હતા. આ કાર્યવાહી બાદ જંતર-મંતર પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે.






