શહેરમાં નાગરિકોને વધુ સુવિધાસભર શહેરી માળખું ઉપલબ્ધ કરાવવાના હેતુસર SJMMSVY, અમૃત ૨.૦ તથા પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારની ગ્રાન્ટ હેઠળ રૂ. ૨૧.૨૨ કરોડના ખર્ચે હાથ ધરાયેલા વિવિધ જનસુખાકારી વિકાસકામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે એક જ દિવસે કરવામાં આવ્યું હતું.
જનસુખાકારી વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમના પરિણામે શહેરમાં પાયાની સુવિધાઓ સતત વિસ્તરી રહી છે અને વિકાસની ગતિ વધુ વેગવાન બની છે.તેમણે કહ્યું કે, કુંભારવાડા વિસ્તારમાં ૨૦ લાખ લિટર ક્ષમતાનો સંપ અને ૧૫ લાખ લિટર ક્ષમતાની ઊંચી પાણીની ટાંકી કાર્યરત થતાં વિસ્તારના નાગરિકોને નિયમિત અને વધુ સુવ્યવસ્થિત રીતે પીવાનું પાણી મળી રહ્યું છે. આ સુવિધાથી વિસ્તારની પાણી પુરવઠા વ્યવસ્થા વધુ મજબૂત અને કાર્યક્ષમ બની છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં પાણી પુરવઠા, ડ્રેનેજ અને માર્ગ વ્યવસ્થાના સશક્તિકરણ માટે વિવિધ માળખાકીય વિકાસકામો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. વાડીલા નાળાથી દસ નાળા સુધી આશરે રૂ. ૨૯ કરોડના ખર્ચે માર્ગ નિર્માણનું કાર્ય પ્રગતિમાં છે, જ્યારે આગામી તબક્કામાં આશરે રૂ. ૮૦ કરોડના ખર્ચે આર.સી.સી. માર્ગોના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પુરવઠા અને ડ્રેનેજ નેટવર્કના અપગ્રેડેશનના કાર્યો પણ હાથ ધરવામાં આવ્યા છે.
કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, વિકાસનો હેતુ માત્ર માળખાકીય સુવિધાઓ ઊભી કરવાનો નથી, પરંતુ નાગરિકોના જીવનને વધુ સુવિધાસભર, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત બનાવવાનો છે. આ દિશામાં ભાવનગરમાં વિકાસના વિવિધ આયામોને સમાવી સતત કામગીરી કરવામાં આવી રહી છે. આગામી સમયમાં પણ નાગરિકોની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને વિકાસકામોને વધુ વેગ આપવામાં આવશે અને ભાવનગરને આધુનિક તથા સર્વાંગી વિકાસશીલ શહેર તરીકે વિકસાવવામાં આવશે.તેમ તેમણે ઉમેર્યું હતું.
લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયેલા વિકાસકામોમાં ભીમ પાર્ક સોસાયટીમાં આર.સી.સી. રોડનું કામ, નારી ગામ ખાતે આવેલા જૂના ચોરાનું રિપેરિંગ અને નવીનીકરણ, નીલમબાગ સર્કલ નજીક આવેલા સ્વિમિંગ પુલનું નવીનીકરણ, ભગવતી સર્કલ પાસે મારુતિ યોગ આશ્રમ પ્રાથમિક શાળા નં. ૮૩ના રમતગમતના મેદાન ફરતે કમ્પાઉન્ડ વોલનું નિર્માણ તેમજ શાળામાં જરૂરી રિપેરિંગ અને રિનોવેશનના કામોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત વિદ્યાનગર વિસ્તારની સ્વેતકમલ સોસાયટીમાં ડી.આઈ. પાણીની લાઇન નેટવર્ક અપગ્રેડેશન, માઢીયા રોડ શેરી નં. ૧ થી ૨૦માં રબર મોલ્ડેડ પેવિંગ બ્લોક તથા ડી.આઈ. પાણીની લાઇન અપગ્રેડેશન, માઢીયા રોડ બાથાભાઈના ચોકથી પાળાની પાછળ સી-આકારનો આર.સી.સી. રોડ, કુંભારવાડા વોર્ડના જવાહરનગર વિસ્તારમાં તમામ રસ્તાઓને આર.સી.સી. બનાવવાના કામો, ગોપાલનગર તથા આસપાસના વિસ્તારમાં ડ્રેનેજ લાઇન અપગ્રેડેશન, અક્ષરપાર્ક કુંભારવાડામાં ઈ.એસ.આર. અને સંપનું નિર્માણ તેમજ ઈ.એસ.આર. આધારિત પાણી પુરવઠા નેટવર્કનું અપગ્રેડેશન, રામદેવનગર અને ગીરનાર સોસાયટીમાં નેટવર્ક અપગ્રેડેશન, હાદાનગર–ઇન્દિરાનગર–નારી–ગઢેચી વડલા વિસ્તારમાં વિવિધ સ્થળોએ લાઇન અપગ્રેડેશન અને જોબવર્ક તેમજ વાંદિલાના નાળાથી અક્ષરપાર્ક સ્કૂલ સુધી પેવર રોડના કામોનો પણ સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં મેયર ઉષાબેન તલરેજા, ડેપ્યુટી મેયર અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશનભાઇ મહેતા, કમિશનર ડૉ.નરેન્દ્રકુમાર મીના, કોર્પોરેટરો સહિત વિવિધ વોર્ડના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.




