ભાવનગર જિલ્લા જેલમાં ફરજ બજાવતા સિપાઈ દિગ્વિજયસિંહ બી. ગોહિલ પર જેલના જ એક કાચા આરોપીએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી કાનનો પડદો તોડી નાખ્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે આરોપી વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભાવનગર જિલ્લા જેલ ખાતે સિપાઈ તરીકે ફરજ બજાવતા ૩૧ વર્ષીય દિગ્વિજયસિંહ બી. ગોહિલ ગત તા.૧/૦૮/૨૦૨૬ના રોજ ફરજ પર હતા. તે દરમિયાન બેરેક નંબર ૧ ના કાચા કામના આરોપી હાર્દિપ અરવિંદભાઈ પરમારને પોતાની બેરેકમાં જવા જણાવતા તેનો પક્ષ લઈને બીજા કાચા કામના આરોપી ચિરાગભાઈ બિપિનભાઈ મકવાણાએ ઉશ્કેરાઈને સિપાઈને જાહેરમાં ધમકી આપી હતી કે કોર્ટમાં ખોટા આક્ષેપો કરી ફસાવી દઈશ.
આ બનાવની દાઝ રાખીને ગઈકાલે તા.૫ રોજ બપોરે આશરે ૧૬:૪૫ કલાકે જ્યારે સિપાઈ દિગ્વિજયસિંહ સર્કલ બહાર આવેલ શૌચાલય જઈને પરત ફરતા હતા, ત્યારે સલામતી યાર્ડની બાજુના સર્કલ ગેટ નંબર ૧ પાસે કાચા આરોપી ચિરાગ મકવાણાએ એકલતાનો લાભ ઉઠાવી અચાનક હુમલો કર્યો હતો. આરોપીએ મજબુત બાંધાનો હોવાથી તેમને આડેધડ મુંઢમાર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ સ્ટાફ દ્વારા મુક્ત કરાવી તેમને જેલ દવાખાને લઈ જવાયા હતા, જ્યાં પ્રાથમિક તપાસમાં ડાબા કાનનો પડદો તૂટી ગયો હોવાનું જણાયું હતું. વધુ સારવાર અર્થે તેમને સર ટી. હોસ્પિટલના સર્જરી અને ઈ.એન.ટી. વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૧૨૧(૧), ૨૨૧, ૧૧૫(૨), ૩૫૧(૨) અને ૩૫૧(૩) મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





