તળાજા તાલુકાના બોરડા ગામ ચોકડી પાસે દાઠા-ગોપનાથ રોડ પર બેફામ ઝડપે આવી રહેલી એક ખાનગી બસના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ દુકાન સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં દુકાન પાસે ઉભેલા ખેડૂતને પણ બસે અડફેટે લેતાં તેમના બંને પગે ગંભીર ફ્રેક્ચર થયા છે. આ અંગે ઈજાગ્રસ્ત પ્રૌઢે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા બસ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
બનાવની વિગત મુજબ, બોરડા ગામે રહેતા અને ખેતીકામ કરતા દૂદાભાઈ શામજીભાઈ શિયાળ રવિવારે સવાર સુમારે પોતાના ઘરેથી દૂધના કેન લઈને ગામની ડેરીએ દૂધ ભરવા ગયા હતા. દૂધ ભરીને પરત ફરતી વખતે તેઓ દાઠા-ગોપનાથ રોડ પર રાજુભાઈ નાજાભાઈ ભમ્મરની દુકાને ઉભા હતા. તે દરમિયાન સામેની સાઈડથી પૂરપાટ ઝડપે અને બેફિકરાઈથી આવી રહેલી ‘રાજ ટ્રાવેલ્સ’ની બસ રજિ. નં. GJ 04 AX 8828 ના ચાલકે બસ દૂદાભાઈ અને દુકાન સાથે ભટકાડી હતી.
અકસ્માત બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દૂદાભાઈને મહુવાની વેદાંત હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તબીબી તપાસમાં તેમના બંને ગોઠણની નીચેના ભાગે ગંભીર ઈજા થતાં ફેક્ચર હોવાનું અને ઓપરેશન કરવું પડશે તેમ જાણવા મળ્યું છે. મહુવા ટાઉન પોલીસ મથકના અનાર્મ એ.એસ.આઈ. એન.આર. ડાભીએ હોસ્પિટલ પહોંચી ફરિયાદ નોંધી છે, જ્યારે આગળની તપાસ પી.એસ.આઈ. રેવર ચલાવી રહ્યા છે.




