અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવામાં કથિત ચોરી સાથે જોડાયેલા મામલામાં ઉત્તર પ્રદેશ સરકારે પ્રથમ વિશેષ તપાસ ટીમ (SIT)નો અંતિમ રિપોર્ટ શ્રીરામ જન્મભૂમિ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપી દીધો છે. આ એ જ તપાસ રિપોર્ટ છે, જે સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર નવી SITની રચના થાય તે પહેલાં તૈયાર કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે સોમવારે આ અંગે માહિતી આપી હતી. પ્રથમ SITએ પોતાના પ્રારંભિક રિપોર્ટમાં જે મુદ્દાઓ અને ભલામણોનો ઉલ્લેખ કર્યો હતો, તેના આધારે જ આ કેસમાં FIR સહિત આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ચઢાવાની કથિત ચોરીનો મામલો ચર્ચામાં આવ્યા બાદ રામ મંદિર ટ્રસ્ટની વિનંતી પર ઉત્તર પ્રદેશની યોગી સરકારે 13 જૂને લખનૌના મંડલાયુક્ત વિજય વિશ્વાસ પંતની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની SITની રચના કરી હતી. આ SITમાં લખનૌ રેન્જના IG કિરણ એસ અને વિશેષ સચિવ નીલ રતન કુમારને સભ્ય બનાવવામાં આવ્યા હતા. 15 દિવસની સમયમર્યાદા બાદ SITએ 23 જૂને અપર મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદને પોતાનો પ્રારંભિક અહેવાલ સોંપ્યો હતો.
SITની તપાસ દરમિયાન 25 જૂને શ્રીરામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. ટ્રસ્ટના સભ્ય કૃષ્ણમોહનની લેખિત ફરિયાદના આધારે અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રમાશંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને રામ શંકર યાદવ ઉર્ફે ટિન્નુને નામજદ આરોપી બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેટલાક અજાણ્યા લોકોને પણ FIRમાં આરોપી બનાવવામાં આવ્યા હતા.જોકે આ દરમિયાન મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. અરજી પર સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે નવી SITની રચના કરવાનો આદેશ આપ્યો હતો.ત્યારબાદ રાજ્ય સરકારે લખનૌ રેન્જના IG કિરણ એસ, DIG સોમન વર્મા, અયોધ્યાના SSP ગૌરવ ગ્રોવર, એક ફોરેન્સિક ઓડિટર અને એક ASPને સામેલ કરીને નવી તપાસ ટીમની રચના કરી હતી. નવી SIT હવે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે.
SIT રિપોર્ટમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લીનચીટ
અયોધ્યા રામ મંદિરના પ્રસાદ ચોરી વિવાદ વચ્ચે, ટ્રસ્ટના ભૂતપૂર્વ મહાસચિવ ચંપત રાયને ક્લીન ચીટ આપવામાં આવી છે. ચંપત રાયની સાથે ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાને પણ ક્લીન ચીટ આપવામાં આવી છે. આ કેસની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમએ પોતાનો અંતિમ રિપોર્ટ સરકારને સુપરત કર્યો છે અને આગળની કાર્યવાહી માટે તેને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપવામાં આવ્યો છે.જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા તપાસ હજુ પણ ચાલુ છે.






