છૂટક બજારમાં ખાંડના ભાવવધારાથી ચિંતિત ગ્રાહકો માટે ISMA એ રાહત આપી છે. ISMA મુજબ, ખાંડની કોઈ અછત નથી, ભાવવધારો અસ્થાયી છે. તહેવારોની માંગ, આંતરરાષ્ટ્રીય ભાવવધારો અને સંગ્રહખોરી જવાબદાર છે. સરકારે 10 લાખ ટન કાચી ખાંડની આયાત મંજૂર કરી, સ્ટોક લિમિટ નક્કી કરી છે. નવું પિલાણ સત્ર વહેલું શરૂ થતાં ભાવ ઘટશે અને સામાન્ય જનતાને રાહત મળશે.
છેલ્લા કેટલાક સપ્તાહથી છૂટક અને જથ્થાબંધ બજારમાં ખાંડના ભાવમાં થયેલા વધારાથી સામાન્ય માણસના બજેટ પર અસર પડી છે. તહેવારોની સીઝન પહેલા ચા થી લઈને મીઠાઈઓ મોંઘી થતાં ચિંતા વધી છે, પરંતુ ઈન્ડિયન શુગર મેન્યુફેક્ચરર્સ એસોસિએશન અને સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. ISMA મુજબ દેશમાં ખાંડની કોઈ માળખાકીય અછત નથી અને ભાવમાં થયેલો આ વધારો માત્ર અસ્થાયી (કામચલાઉ) છે.
ભાવ વધવાના મુખ્ય કારણો અને વર્તમાન સ્થિતિ ખાંડના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા માટે તહેવારોની અચાનક નીકળેલી માંગ, ઉત્પાદનમાં સાધારણ ઘટાડો, હવામાનની અસર અને આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવમાં થયેલો 16% જેટલો ઉછાળો જવાબદાર છે. આ ઉપરાંત કેટલાક વેપારીઓ દ્વારા કરવામાં આવતી સંગ્રહખોરીને કારણે બજારમાં ખાત્રિપૂર્વક કૃત્રિમ અછત ઊભી થઈ છે. ISMA એ સ્પષ્ટ કર્યું છે કે ઈથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ (EBP) ને લીધે ખાંડના ભાવ વધ્યા હોવાની વાત પાયાવિહોણી છે, કારણ કે ઈથેનોલ ઉત્પાદનમાં 75 % હિસ્સો અનાજનો છે.
ઓક્ટોબરમાં 10 લાખ મેટ્રિક ટન ઉત્પાદનની આશા
નવા પિલાણ સત્રને 10 થી 15 દિવસ વહેલું શરૂ કરવા પર કામ ચાલી રહ્યું છે, જ્યારે તામિલનાડુ અને કર્ણાટકમાં વિશેષ પિલાણ શરૂ પણ થઈ ચૂક્યું છે. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનામાં 4 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થતું હોય છે, પરંતુ આ વર્ષે ઓક્ટોબર 2026માં આ ઉત્પાદન 10 લાખ મેટ્રિક ટન થવાની ધારણા છે. બજારમાં નવો સ્ટોક આવતા જ ખાંડના ભાવ સામાન્ય થઈ જશે અને જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત મળશે.
–



