નેપાળ-તિબેટ સરહદ પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરને કારણે 165 લોકોના મોત થયા. નેપાળમાં 162 અને તિબેટમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે 1100 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. પૂરને કારણે 19 પુલ, લગભગ 40 કિલોમીટર રસ્તાઓ અને 13 હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ તબાહ થઈ ગયા.
પૂરનું પાણી લગભગ 30 ફૂટ સુધી ઉપર આવી ગયું હતું. તેજ પ્રવાહમાં ઘરો, ગાડીઓ અને સરકારી માળખાં તણાઈ ગયા. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે પૂર પહેલા ભૂકંપ આવ્યો હતો, પરંતુ અમેરિકી જિયોલોજિકલ સર્વે અનુસાર ચીન તરફ લ્હેંદે નદીમાં પહાડનો મોટો હિસ્સો ખસીને પડ્યો હતો.

આ જ ભૂસ્ખલનને કારણે 5.2 તીવ્રતાના ભૂકંપ જેવો આંચકો અનુભવાયો. ત્યારબાદ લ્હેંદે નદીમાંથી પાણી અને કાટમાળનો પ્રવાહ ભોટેકોશી અને ત્રિશૂલી નદીઓમાં પહોંચ્યો, જેના કારણે પૂર આવ્યું. પ્રવાહ એટલો તેજ હતો કે લોકોને અને કાટમાળને લગભગ 150 કિલોમીટર દૂર ચિતવન સુધી વહાવી ગયો, જ્યાં અત્યાર સુધીમાં 33 મૃતદેહો મળી આવ્યા છે.
રાહતકર્મીઓ ખરાબ હવામાન અને તૂટેલા રસ્તાઓ વચ્ચે કાટમાળમાં દટાયેલા લોકોની શોધ કરી રહ્યા છે. કૈલાસ માનસરોવર યાત્રા પર જઈ રહેલા ઘણા શ્રદ્ધાળુઓ પણ પૂરની ઝપેટમાં આવી ગયા. નેપાળમાં ગુમ થયેલા લોકોમાં 466 વિદેશી અને 113 નેપાળીઓનો સમાવેશ થાય છે, જેમાં 133 ભારતીય અને 37 NRI પણ છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવા અને રાહત પહોંચાડવા માટે નેપાળ સરકારે 30 હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. ત્રિભુવન આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (RCC) એ સવારે 6:30 વાગ્યાથી તેની તૈયારી શરૂ કરી દીધી હતી.વધારાના બચાવ માટે 20 હેલિકોપ્ટર સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે, જ્યારે 10 હેલિકોપ્ટર પહેલાથી જ પ્રભાવિત અને આસપાસના વિસ્તારોમાં મોકલી દેવામાં આવ્યા છે. ખરાબ હવામાન અને મુશ્કેલ રસ્તાઓને કારણે જ્યાં રસ્તા દ્વારા પહોંચવું શક્ય નથી, ત્યાં હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવશે.
19 પુલ, 40 કી.મી.રસ્તાઓ ધોવાયા
નેપાળના રસુવા, નુવાકોટ અને ધાદિંગ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે. પૂરના તીવ્ર પ્રવાહમાં 19 પુલ અને 40 કિલોમીટર લાંબા રસ્તાઓ ધોવાઈ ગયા છે. આ સિવાય આશરે એક ડઝન જેટલા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે રાહત કામગીરીમાં અવરોધ ઊભો થયો છે.
નેપાળમાં ભારતે 10 ટન મદદ મોકલી
ભારતે નેપાળમાં પૂર પછી રાહત અને બચાવ કાર્યોમાં મદદ કરવા માટે 10 ટન માનવતાવાદી સહાય અને જરૂરી દવાઓ મોકલી છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે ફેસબુક પોસ્ટ દ્વારા આ માહિતી આપી. તેમણે કહ્યું કે આ સહાય પૂર પ્રભાવિત વિસ્તારોમાં નેપાળના રાહત કાર્યોમાં મદદ કરવા માટે મોકલવામાં આવી છે.ભારતે આ આફતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી અને પ્રભાવિત લોકો સાથે એકતા દર્શાવી. જયશંકરે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં ભારત નેપાળ અને નેપાળી લોકોની સાથે ઊભું છે.
બિહારમાં હાઈ એલર્ટ: ગંડક બેરાજના 36 દરવાજા ખોલાયા
નેપાળની આ આપત્તિની અસર ભારત સુધી પહોંચવાની શક્યતા છે. નેપાળમાંથી આવતા પાણીને કારણે બિહાર સરકારે ગંડક નદીના જળસ્તર પર નજર રાખવાનું શરૂ કર્યું છે. સાવચેતીના ભાગરૂપે વાલ્મિકીનગર ગંડક બેરાજના તમામ 36 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે.
43 કચ્છી યાત્રાળુઓ પૂર પહેલાં સુરક્ષિત પરત
નેપાળની ભોટેકોશી નદીમાં આવેલા વિનાશક પૂર બાદ ભારે તારાજી સર્જાઈ છે, પરંતુ સદ્ભાગ્યે મુંબઈ અને ગુજરાતના 43 કચ્છીઓ તથા 25 એનઆરઆઈ મળીને કુલ 68 યાત્રાળુઓ હોનારત પહેલાં જ સરહદ ઓળંગી જતાં સંપૂર્ણ સુરક્ષિત છે. કૈલાસ માનસરોવરની યાત્રાએ નીકળેલી આ ટુકડીએ નેપાળ-ચીન (તિબેટ) સરહદ પર આવેલા ઈમિગ્રેશન સેન્ટર ખાતે મંગળવારે સાંજે ગ્રૂપ ફોટો લીધો હતો. તેના ગણતરીના કલાકોમાં જ બુધવારે સવારે આ વિસ્તારમાં પૂરના કારણે તબાહી મચી ગઈ હતી. ભુજના ટૂર ઓપરેટર દ્વારા આયોજિત આ પ્રવાસના તમામ યાત્રાળુઓ હાલ તિબેટમાં સલામત છે
વર્લ્ડ બેંક નેપાળને 2500 કરોડ રૂપિયા આપશે
નેપાળી નાણા મંત્રાલય અનુસાર, વર્લ્ડ બેંકે નેપાળને રાહત અને અસરગ્રસ્ત વિસ્તારોના પુનર્નિર્માણ માટે 2500 કરોડ નેપાળી રૂપિયાની કટોકટી સહાય આપવાની ઓફર કરી છે.પૂરના સમાચાર ફેલાયા પછી તરત જ, નેપાળ માટે વિશ્વ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર ડેવિડ સિસલેને નાણા પ્રધાન સ્વર્ણિમ વાગલેને જાણ કરી કે કટોકટી સહાય તરીકે વિવિધ સ્ત્રોતોમાંથી 25 અબજ નેપાળી રૂપિયા સુધી એકત્ર કરી શકાય છે.






