ચીનના એક શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં 20 લોકો માર્યા ગયાના અને પાંચ લોકો ઘાયલ થવાના અહેવાલ છે. આ અંગે મળતી માહિતી મુજબ પૂર્વ ચીનના શેનડોંગ પ્રાંતમાં આવેલા ‘કિંગદાઓ બેઈહાઈ શિપયાર્ડ’ ખાતે જાળવણી હેઠળ રહેલા વિદેશી ધ્વજવાળા કાર્ગો જહાજમાં ભીષણ આગ લાગી છે. આ દુર્ઘટનામાં મોટું નુકસાન પણ થયું છે.
આ ઘટનાની જાણ થતાં જ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડાપ્રધાન લી કિયાંગે ગુમ થયેલા લોકો માટે તાત્કાલિક શોધખોળ અને બચાવ કામગીરી શરૂ આદેશ આપ્યા છે. તેમજ ઘાયલોને તબીબી સારવાર પૂરી પાડવા અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે. ચીનની સરકારી ન્યુઝ એજન્સીએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં જાન-માલનું ભારે નુકસાન થયું છે. જોકે, જાનહાનિની ચોક્કસ સંખ્યા કે આગ લાગવાના કારણ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.




