રાજધાની એક્સપ્રેસથી ગરીબ રથ અને અન્ય એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો તેમાં ફેલાયેલી ગંદકીના કારણે પરેશાન છે. સોશિયલ મીડિયા ઉપરાંત રેલ મદદ એપ પર પણ લોકો ભારતીય રેલવેને આ અંગે ફરિયાદ કરી રહ્યાં છે. એવી ૧૦ ટ્રેન જુદી તારવવામાં આવી છે કે જેની સફાઈ અંગે સૌથી વધુ ફરિયાદ મળી હોય.
રેલ મદદ એપ પર મળેલી ફરિયાદો અનુસાર સહરસા-અમૃતસર ગરીબ રથ ટ્રેન ગંદકીના સંદર્ભમાં પ્રથમ ક્રમે છે . તે ભારતની સૌથી ગંદી ટ્રેન છે. આ ટ્રેન પંજાબના અમૃતસરથી બિહારના સહરસા જિલ્લા સુધી જાય છે. આ ટ્રેન બંને બાજુથી ભરચક દોડે છે. આ ટ્રેનમાં ગંદકીની સૌથી વધુ 81 ફરિયાદો મળી છે. કોચથી લઈને સિંક અને ટોઈલેટ કેબીન સુધી ગંદકી ફેલાઈ રહી હોવાની લોકોએ ફરિયાદ કરી છે. આ ટ્રેનની ગણતરી દેશની સૌથી ખરાબ સુવિધાઓમાં થાય છે. ત્યાર બાદ જોગબની-આનંદ વિહાર સીમાંચલ એક્સપ્રેસ ટ્રેનમાં 67, શ્રી માતા વૈષ્ણોદેવી-બાંદ્રા સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં 64, બાંદ્રા-શ્રી માતા વૈષ્ણોદેવી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં 61 અને ફિરોઝપુર-અગરતલા ત્રિપુરા સુંદરી એક્સપ્રેસ ટ્રેનમાં 57 ફરિયાદો મળી છે. મુસાફરોએ આ ટ્રેનોમાં ગંદકી અને સ્વચ્છતાના અભાવની ફરિયાદ કરી છે.
જ્યારે દિલ્લીથી બિહાર જતી આનંદ વિહાર-જોગબની સીમાંચલ એક્સપ્રેસ ટ્રેનમાં 52, અમૃતસર ક્લોન સ્પેશિયલ ટ્રેનમાં 50, અજમેર-જમ્મુ તાવી પૂજા એક્સપ્રેસ ટ્રેનમાં 40 અને નવી દિલ્હી-ડિબ્રુગઢ રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં 35 ફરિયાદો મળી છે. આ 10 ટ્રેનોમાં એક મહિનામાં રેલવેને કુલ 1079 ફરિયાદો મળી છે. જેમાં ગંદકી, પાણી ન મળવું, ધાબળા-ચાદરની ગંદકી અને ફાટેલી બેઠકોની ફરિયાદોનો સમાવેશ થતો હતો.
ખાસ વાત એ છે કે ગંદકીની સૌથી વધુ ફરિયાદો પૂર્વ ભારત તરફ જતી ટ્રેનોમાંથી આવી હતી. ગંદકીની વાત કરીએ તો ટોચની 10 ટ્રેનોમાં 7 ટ્રેનો ઉત્તર અને પૂર્વ ભારતને જોડતી હતી. જ્યારે મુંબઈથી માતા વૈષ્ણોદેવી કટરા જતી ટ્રેનો પણ ગંદી જોવા મળી હતી. એક્સપ્રેસ ટ્રેનોની સાથે રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં પણ લોકોએ ગંદકીની ફરિયાદ કરી હતી. રેલવે અધિકારીઓનું કહેવું છે કે ગંદકી દૂર કરવા માટે હવે ટ્રેનોમાં ઓન બોર્ડ હાઉસ કીપિંગ સેવા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત, ફરિયાદ મળતાની સાથે જ તેનો ટ્રેનમાં નિકાલ કરવામાં આવે છે.