સુદાનમાં અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર દળો વચ્ચે અથડામણ ત્રીજા દિવસે પણ ચાલુ રહી હતી. આ અથડામણમાં મૃત્યુઆંક હવે 100 પર પહોંચી ગયો છે. જ્યારે 600 લોકો ઘાયલ થયા છે. ડોક્ટર્સની સેન્ટ્રલ કમિટીએ જણાવ્યું હતું કે રાજધાનીના દક્ષિણ ભાગમાં એક હોસ્પિટલ તોપના ગોળીબારનો ભોગ બની હતી. આ હુમલામાં ફરી એકવાર આતંક અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. જો કે, તેનાથી કોઈ દર્દી કે હોસ્પિટલના સ્ટાફને કોઈ નુકસાન થયું નથી.
રાજધાની ખાર્તુમમાં લોકોએ જણાવ્યું કે સવારની નમાજ બાદ અથડામણ વધુ તીવ્ર બની ગઈ હતી. આખી રાત ગોળીબાર અને વિસ્ફોટના અવાજો સંભળાયા હતા. લશ્કરી નેતા અબ્દેલ ફત્તાહ અલ-બુરહાન અને અર્ધલશ્કરી કમાન્ડર મોહમ્મદ હમદાન ડગલો વચ્ચે ઘણા દિવસોથી સંઘર્ષ ચાલી રહ્યો હતો. છેલ્લા કેટલાક મહિનામાં બંને જનરલોએ ખુલ્લેઆમ એકબીજાની આકરી ટીકા કરી છે.
સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમમાં શનિવારે ત્રણ કામદારો માર્યા ગયા હતા, જે બાદ સંયુક્ત રાષ્ટ્રએ તમામ કામગીરી પર અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે. યુએન એજન્સીના કાર્યવાહક નિર્દેશક, સિન્ડી મેકકેને રવિવારે જણાવ્યું હતું કે સુરક્ષા પરિસ્થિતિને કારણે સુદાનમાં તમામ કામગીરી હાલ પૂરતું સ્થગિત કરવામાં આવશે. “WFP સુદાનના લોકોને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે જેઓ ગંભીર ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. જો અમારી ટીમોની સલામતીની ખાતરી ન હોય તો અમે અહીં કામ કરી શકતા નથી. બધા પક્ષોએ એક કરાર પર આવવું જોઈએ, જે માનવતાવાદી કામદારોની સલામતીને સુનિશ્ચિત કરે છે.”






