પીએમ મોદી પર વિવાદિત નિવેદનના કારણે કોર્ટથી સજા પામ્યા બાદ રાહુલ ગાંધી પોતાની લોકસભા સદસ્યતા પણ ગુમાવી ચૂક્યા છે. આવામાં ગાંધી પરિવારની સાથે જ કોંગ્રેસના રાજકીય ભવિષ્ય ઉપર પણ સવાલ ઊભો થયો છે. જો તેમને રાહત ન મળી તો શું થશે. તો પછી પ્રધાનમંત્રીના ચહેરા માટે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને પ્રોજેક્ટ કરીને આગળ વધવું જોઈએ? આ મુદ્દા પર સી વોટરે સર્વે કરીને જનતાનો મત જાણ્યો. જેમાં અનેક રસપ્રદ પરિણામ આવ્યા.
સી વોટરના ઓલ ઈન્ડિયા ત્વરિત સર્વેમાં 4890 લોકો સાથે વાત કરીને તેમનો મત લેવાયો. દાવો છે કે આ સર્વેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઈનસ 3થી 5 ટકા રહ્યો. સર્વેમાં ચોંકાવનારી વાતો સામે આવી છે. હવે લોકો રાહુલ ગાંધીની જગ્યાએ તેમના નાના બહેન પ્રિયંકા ગાંધીને પીએમ પદ માટે વધુ સારા ઉમેદવાર માની રહ્યા છે. આ સર્વેમાં 43 ટકા લોકોએ એ વાત પર સહમતી વ્યક્ત કરી કે કોંગ્રેસે હવે પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં આગળ વધવું જોઈએ.
સર્વેમાં 31 ટકા લોકોએ પ્રિયંકા ગાંધીની દાવેદારી નકારી છે. એટલે કે તેઓ રાહુલ ગાંધીની સરખામણીમાં પ્રિયંકા ગાંધીની દાવેદારીને વધુ સારી માનતા નથી. જ્યારે 26 ટકા લોકોએ કોઈ સ્પષ્ટ મત આપવાનો ઈન્કાર કર્યો.
અત્રે જણાવવાનું કે રાહુલ ગાંધી સહિત ખુદ કોંગ્રેસ પીએમ પદની દાવેદારીને લઈને અસમંજસમાં રહી છે. રાહુલ ગાંધીને જ્યારે અનેક વખત પીએમ પદની દાવેદારી અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેઓ આ મુદ્દે બચતા જોવા મળ્યા. ગત મહિને બ્રિટનના પ્રવાસે ગયેલા રાહુલ ગાંધીને જ્યારે આગામી વર્ષની લોકસભા ચૂંટણીમાં પીએમની દાવેદારી અંગે પ્રશ્ન પૂછાયો તો તેમણે સ્પષ્ટ બચતા કહ્યું કે આ ચર્ચાનો વિષય નથી. હાલ વિપક્ષનો સૌથી મોટો મુદ્દો દેશમાં ભાજપ અને આરએસએસને હરાવવાનો છે.


