રાજકીય વગ ધરાવનાર વધુ એક મહાઠગની ધરપકડ કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ STFએ સંજય શેરપુરિયાની ધરપકડ કરી છે. સંજય શેરપૂરીયા અનેક મોટા કૌભાંડમાં સંડોવાયેલો છે. તે રાજકીય નેતાઓ સાથેની તસવીરોને હાથો બનાવતો હતો. ભાજપના શિર્ષ નેતાઓ સાથે એડિટ કરેલી તસવીરોનો ઉપયોગ કરતો હતો. તે ભાજપના મોટા નેતાઓને સંબંધી હોવાનું જણાવતો હતો. નકલી કંપનીના નામે SBIના 350 કરોડ ચાઉં કર્યા છે. તેના પર દિલ્હીમાં આલિશાન બંગલા પર કબજો કરવાનો પણ આરોપ છે.
સંજય પ્રકાશ રાય ઉર્ફે સંજય શેરપુરિયાની લખનઉથી ધરપકડ કરવામા આવી છે. તે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ડિફોલ્ટર હોવાનું ખૂલ્યું છે. તેણે અને તેની પત્ની રંચન સંજય પ્રકાશ રાયે લોકોને 350 કરોડનો ચૂનો લગાવ્યો છે. તેણે અમદાવાદની કંડલા એનર્જિ એન્ડ કેમિકલ્સના નામે લોન લીધી હતી. સંજય અને તેની પત્ની આ કંપનીમાં ડાયરેક્ટર છે. સંજય પ્રકાશનું કેરેક્ટર પણ મહાઠગ કિરણ પટેલ જેવું છે. તે દિલ્હીના મોટા નામોની ઓળખ આપીને અનેક લોકોને બોટલમાં ઉતારી ચૂક્યો છે. તેણે ઈડીની તપાસ બંધ કરાવવાના નામે 11 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
સંજય પણ કિરણ પટેલની જેમ રાજકીય વગની ઓળખાણો આપતો હતો. તે પણ રાજનેતાઓ સાથે કોન્ટેક્ટ્સ હોવાનુ કહીને લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો. એટલુ જ નહિ, તે પોતાનો રુઆબ બતાવવા પીએમ મોદીથી લઈને ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, આરએસએસ ચીફ મોહન ભાગવત સહિત અનેક નેતાઓ સાથેની પોતાની તસવીરો લોકોને બતાવતો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો હતો. આ દાવો કરીને તેને અનેક લોકોને ફસાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ ગુરુવારે અખબારોમાં સંજયપ્રકાશ બલેશ્વર રાય ઇરાદાપૂર્વક ડિફોલ્ટ તરીકે જાહેર કરતી નોટિસ બહાર પાડી. તેણે રાયને અમદાવાદ સ્થિત કંડલા એનર્જી એન્ડ કેમિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ઓળખાવ્યા. તેમાં કંપનીના અન્ય બે અધિકારીઓને સૂચિબદ્ધ કર્યા છે, જેની કુલ લેણી રૂ. 349.12 કરોડથી વધુ છે. તેણે રાયનું સરનામું ગુડગાંવમાં કેટ્રિયોના એમ્બિયન્સ આઇલેન્ડ, એમ્બિયન્સ મોલની નજીક તરીકે ગણાવ્યું છે.






