ભાવનગર, તા.૧૦
ભાવનગરમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શખ્સે સાડા ત્રણ વર્ષ પૂર્વે પત્નીના ચારિત્ર્ય અંગે શંકા રાખવા ઉપરાંત તેમના પર પત્નીએ મેલી વિદ્યા કરી હોવાની શંકા રાખી ત્રણ માસુમ બાળકોને ઘરમાં પૂરી તીક્ષ્ણ હથીયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવાના બનાવમાં પોલીસ કોન્સ્ટેબલને જીવે ત્યાં સુધી જેલની સજા ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે ફટકારતા ચકચાર મચી જવા પામી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના વિદ્યાનગર પોલીસ લાઈન બ્લોક નંબર બી-17, રૂમ ન.247માં રહેતા અને ભાવનગર પોલીસ અધિક્ષકની કચેરીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુખદેવ નાજાભાઇ શિયાળ ઉંમર વર્ષ 33 એ બપોરના સમયે તેના ઘરમાં પોતાના જ ત્રણ બાળકોને ગળાના ભાગે નાના ધારિયાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધા હતા આ બનાવવા અંગે તેના પત્ની જીજ્ઞાબેન સુખદેવભાઈ શિયાળે નિલમબાગ પોલીસ મથકમાં તેના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા સહિતનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલ.
જીજ્ઞાબેને પોલીસ ફરિયાદમાં નોંધાવેલ કે તેમના લગ્ન થયા ના 6 માસ બાદ તેમના પતિ તેમના પર શંકા કરતા હતા અને ત્રણે બાળકો મારા નથી તેમ કહેવા ઉપરાંત તું જ્યારથી આવી છે ત્યારથી મને ચેન નથી પડતો તે મારા ઉપર મેલુ કરી દીધું છે તેવું કહી ઘરે છેલ્લા એક મહિનાથી જમતા પણ ન હતા ગત તારીખ 1, 9, 2019ના રોજ સવારે 11:00 વાગે તેઓ નોકરી પર ગયા હતા અને રવિવાર હોય બપોરે બે થી સવા બે વાગ્યે ઘરે પરત આવેલ અને પત્ની જીજ્ઞાબેન ને કહેલ મારે બાળકો સાથે રમવું છે તું બીજા રૂમમાં ચાલીજા તને વાગી જશે તેમ કહી તેને બીજા રૂમમાં મોકલી રૂમનો દરવાજો બંધ કરી દીધેલ. અડધા કલાક પછી બાળકોના મમ્મી બચાવો ના અવાજ આવતા તેઓ દોડી આવેલ અને દરવાજો ખખડાવતા ખોલેલ નહીં ત્યારબાદ થોડી વાર પછી આજુબાજુના લોકો એકઠા થઈ ગયેલ અને મારા રૂમનો દરવાજો ખોલી મને બહાર કાઢી હતી બાદ પહેલા રૂમમાં જોતા ત્રણેય દીકરાઓ લોહી લુહાણ હાલતમાં મરણ ગયેલ હાલતમાં પડ્યા હતા. જેને ગળાના ભાગે ઇજા થયેલી હતી. આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકમાં જાણ કરતાં તુરંત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવેલ અને ત્રણે બાળકોને હોસ્પિટલ પીએમ અર્થે લઈ જવાયેલ ઉપરાંત એફએસએલ સહિતની પણ તપાસ હાથ ધરાયેલ નીલમબાગ પોલીસે સુખદેવ વિરોધ હત્યાની 302 સહિતની કલમ સાથે ગુનો નોંધી આરોપી સુખદેવની ધરપકડ કરેલ.
આ બનાવ નો કેસ ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી જતા તપાસ દરમિયાન આરોપીએ પત્ની સામે ચારિત્રય અંગેની શંકા રાખી બાળકો પોતાના ન હોવાનું જણાવેલ જેની ડીએનએ ટેસ્ટ કરાવાયેલ જેમાં ત્રણેય સંતાનો પોતાના જ હોવાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ આ ઉપરાંત ૧૯ જેટલા શાહેદો અને 70 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરાયેલ. એફએસએલ, ડીએનએ, તેમજ ટેકનિકલ પુરાવાઓ તથા નામદાર હાઇકોર્ટના જજમેન્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ દર્શાવવા સાથે જિલ્લા સરકારી વકીલ મનોજભાઈ આર. જોશીની દલીલો અને આરોપીને વધુમાં વધુ સજા કરવાની માંગણી કરાયેલ આ બનાવ અંગે ડિસ્ટ્રીકટ જજ એલ.એસ. પીરજાદાએ આરોપી સુખદેવ શિયાળને હત્યાના ગુનામાં કસૂરવાર ઠેરવી જીવે ત્યાં સુધી જેલની સજા ફટકારી હતી. આમ પત્ની સાથેના ઝઘડામાં ત્રણ માસુમ બાળકોને મોતને ઘાટ ઉતારનાર પોલીસ કોન્સ્ટેબલને જીવે ત્યાં સુધી જેલની સજા ફટકારતા ચકકાર મચી જવા પામી છે.






