હવે તમે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન માટે, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ કે પાસપોર્ટ માટે અરજી કરવા માગો છો કે પછી લગ્નની નોંધણી માટે, અલગ-અલગ દસ્તાવેજોની ઝંઝટ પૂરી થઈ ગઈ છે. આવા અનેક કામો માટે હવે માત્ર જન્મ પ્રમાણપત્રની જરૂર પડશે. 1 ઓક્ટોબરથી અમલમાં આવતા નવા સુધારેલા કાયદા હેઠળ લોકોને આ સુવિધા મળવાનું શરૂ થશે.
સંસદે ચોમાસા સત્રમાં જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારો) અધિનિયમ 2023 પસાર કર્યો હતો અને તેને 11 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંમતિ આપી હતી. રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ, જન્મ અને મૃત્યુ નોંધણી (સુધારો) અધિનિયમ, 2023 ની કલમ 1 ની પેટા-કલમ (2) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, કેન્દ્ર સરકાર સૂચિત કરે છે કે એક્ટની જોગવાઈઓ 1 ઓક્ટોબર, 2023થી અમલમાં આવશે.
કાયદાના અમલીકરણ સાથે, જન્મ પ્રમાણપત્રનો ઉપયોગ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ અથવા પાસપોર્ટ માટેની અરજી અને લગ્ન નોંધણી જેવા અન્ય ઘણા કાર્યો અને સેવાઓ માટે એક દસ્તાવેજ તરીકે થઈ શકે છે. આ નવા સુધારા બાદ બર્થ સર્ટિફિકેટનું મહત્વ વધી જશે. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે જન્મ અને મૃત્યુનો ડેટા બેઝ બનાવવાનું પણ સરળ બનશે. આ ઉપરાંત નાગરિકોને આપવામાં આવતી સુવિધાઓ વધુ સારી રીતે પહોંચાડવામાં આવશે.
આ કાયદાના અમલીકરણ સાથે સૌથી મોટો ફેરફાર એ થશે કે મૃત્યુ અને જન્મ પ્રમાણપત્રો ડિજિટલી ઉપલબ્ધ થશે. અત્યારે લોકોને હાર્ડ કોપી મળે છે. ઘણી વખત લોકોને અઠવાડિયા સુધી સરકારી કચેરીઓના ચક્કર મારવા પડે છે. હાલમાં, આધારનો ઉપયોગ આઈડી કાર્ડ તરીકે દરેક જગ્યાએ થાય છે. તેની સાથે બાકીના દસ્તાવેજો લિંક કરવાના રહેશે. હવે આ કામ બર્થ સર્ટિફિકેટ દ્વારા થશે, જેનો ઉપયોગ જન્મ અને મૃત્યુ માટે દરેક જગ્યાએ આઈડી તરીકે કરવામાં આવશે.




