રાજયની મોટાભાગની જેલો ઓવર ક્રાઉડેડ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત લઈને સબ જેલોમાં પણ ક્ષમતા કરતા વધુ કેદીઓ ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા છે. લાંબા સમયથી જેલ તંત્ર નવી જેલોના બાંધકામનો દાવો કરે છે પરંતુ હજુ સુધી નકકર કામ ન થતા જેલોમાં કેદીઓને કફોડી સ્થિતિમાં રહેવાની સ્થિતિ આવી છે. રાજયની 20 જેટલી જેલમાં કેદીઓને રાખવાની ક્ષમતા નિયત કરવામાં આવી છે પરંતુ માર્ચ 2023ની સ્થિતિએ તેના કરતા વધુ કેદીઓ હોવાની જેલ વિભાગ દ્વારા કબુલાત કરવામાં આવી છે. કુલ 11630 કેદીઓને રાખવાની ક્ષમતા સામે તે સમયે 155540 કેદીઓ જેલમાં હતા એટલે કે 3810 કેદીઓ વધુ રાખવામાં આવ્યા હતા.
અમદાવાદની મધ્યસ્થ જેલમાં 2,586 કેદીઓની ક્ષમતા સામે 3578 જેટલા કેદીઓ હતા એટલે કે 992 જેટલા કેદીઓ વધુ હતા. મુખ્ય શહેરો સિવાય આવી જ સ્થિતિ સબ જેલોની પણ છે. પાટણ સબ જેલમાં પણ 202 કેદીઓને રાખવાની ક્ષમતા સામે 253 કેદીઓ હતા. ક્ષમતા કરતા વધુ કેદીઓને રાખવા પાછળના કારણમાં જેલ વિભાગના દાવા મુજબ કોર્ટ દ્વારા કાચા આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલવા અને સજા ફરમાવેલા કેદીઓને સજા ભોગવવા અંગે કોર્ટના હુકમો અનુસાર કેદી-કાચા કામના આરોપીઓને જેલમાં રખાય છે. તે સાથે અટકાયતીઓને પણ સતાધિકારીઓ દ્વારા જેલમાં રાખવામાં આવતા હોવાથી કેદીઓની સંખ્યામાં વધારો થાય છે.
જેલોમાં ઓવર ક્રાઉડેડ કેદીઓની સ્થિતિનું નિવારણ અંગે જેલ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ 8 નવી જેલનું બાંધકામ થતા અને અમદાવાદ-વડોદરા મધ્યસ્થ જેલનું વિસ્તરણ થતા કેદીઓને રાખવાની ક્ષમતામાં 3580 જેટલો વધારો થશે. જેલોના કેદીઓની કુલ સમાવેશ ક્ષમતા 17645 થતા સમસ્યાનું નિરાકરણ આવશે.





