સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના ખોડલધામ સંકુલની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિર્માણ કરવાનો સંકલ્પ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે કાગવડ ખોડલધામ નિર્માણ બાદ ગુજરાતના ઉતર ગુજરાત ઝોનમાં પાટણના સંડેર મુકામે 50 વીઘા જમીનમાં અંદાજિત રૂપિયા 100 કરોડના નવનિર્માણ પામનાર ખોડલધામનું ભૂમિપૂજ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતુ. ભૂમિપૂજન કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના રાજકીય, સામાજિક આગેવાનો અને લેઉવા પાટીદાર સમાજના પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આંનદીબહેન પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતુ કે, સંડેર ખાતે ભવ્ય ખોડલધામ મંદિર બનવા જઈ રહ્યું છે. જ્યાં ભવિષ્યમાં કૌશલ્યનું નિર્માણ થશે, યુવાઓને પ્રેરણા સાથે રોજગાર મળી રહે તેવી પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. સમગ્ર સમાજના વિકાસ માટે ખોડલધામ માર્ગદર્શન પૂરું પાડશે. આ માટે નરેશભાઈ અને તેમની ટીમને ધન્યવાદ આપું છું. સામાન્ય રીતે મંદિરનું નિર્માણ દર્શન, પૂજા અર્ચના અને ભક્તિમાં તરબોળ થવા માટે હોય છે. પરંતુ મંદિર ચેતનાનું કેન્દ્ર પણ બનવું જોઈએ જ્યાં સમસ્યાઓનું સમાધાન થાય. આ કાર્ય કરવા બદલ ખોડલધામ ટ્રસ્ટની ટીમને અભિનંદન પાઠવું છુ.
રાજ્યપાલ શ્રીમતી આંનદીબહેન પટેલે સૌને સૂચન કરતા કહ્યું કે દીકરીઓ અને માતાઓના સ્વાસ્થ્યની વિશેષ ચિંતા કરી તેઓ સ્વસ્થ રહે અને કેન્સર જેવી બીમારીઓથી મુક્ત રહે એવા પ્રયાસો હાથ ધરવા જોઈએ. તેઓએ ઉમેર્યું કે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ 2024 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાનું અભિયાન હાથ ધર્યું છે એમાં પણ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદોએ સક્રિય ભૂમિકા ભજવવાની છે. તેઓએ સ્વયંસેવકોને જણાવ્યું હતું કે અનેક લોકો સરકારી યોજનાઓથી ગરીબી મુક્ત થયા છે તેથી મહત્તમ લોકો સુધી સરકારી યોજનાના લાભ પહોચાડવા જોઈએ.ખોડલધામના નિર્માણ માટે દાન આપનાર સૌ દાતાશ્રીઓને તેઓએ અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે નવરાત્રીનાં પાવન પ્રસંગની શુભેચ્છા પાઠવી જણાવ્યું હતુ કે, દુર્ગાષ્ટમીના પાવન પ્રસંગે પવિત્ર તીર્થધામ ખોડલધામના આંગણે આવીને દિવ્યતાની સાથે ગૌરવની લાગણી અનુભવું છું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સશક્ત નેતૃત્વનાં પરિણામે દેશમાં સાંસ્કૃતિક નવજાગરણનો નવો અધ્યાય શરૂ થયો છે. આજે અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે. ઉજૈન મહાકાલ મંદિર, કાશી વિશ્વનાથ કોરિડોર, કેદારનાથધામના વિકાસ સાથે અનેક આસ્થાના કેન્દ્રો નવા રંગરુપ પામી રહ્યાં છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી જ્યોતિર્લિંગ સોમનાથનો પણ સર્વગ્રાહી વિકાસ થઈ રહ્યો છે. રાજય સરકાર દ્વારા દ્વારિકા કોરિડોરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.