રાજ્યભરના 251 તાલુકાઓમાં રવિવારે સવારથી મોડી સાંજ સુધી 50 મીમીથી 2 ઇંચ સુધી કમોસમી વરસાદથી વાતાવરણમાં મોટો પલટો આવ્યો હતો. તો રાજ્યના વિવિધ સ્થળે વીજળી પડવાથી 18 લોકોના મોત થયા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં દોઢ ઈંચ વરસાદ પડતા પાકને વ્યાપક નુકસાન થયું હતું.અને કાર્તિકી પૂર્ણિમાંનો મેળો પણ બંધ રાખવો પડ્યો હતો. 55 હજાર હેકટર રવીપાક માથે જોખમ સર્જાયું હતું. જૂનાગઢમાં તો શનિવારની રાત્રિના 3:30 થી જ વાતાવરણ પલટાઈ ગયું હતું. ભારે પવનથી રોપ – વે બંધ કરવાની ફરજ પડી હતી, ગિરનારના પરિક્રમાર્થીઓને 15 કિ.મી.થી વધુમાં કાદવ-કીચડ અને લપસણા માર્ગ પરથી ચાલવું પડ્યું હતું. અમરેલીમા સવારે આઠ વાગ્યે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને સાંજ સુધીમાં બે ઇંચ વરસાદ પડી ગયો હતો.
કમોસમી વરસાદથી રાજ્યમાં 18નાં મોત
રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે ગઈકાલે સવારથી જ અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે આ વચ્ચે અનેક જગ્યાએ વીજળી વેરણ બનીને ત્રાટકી હતી. જેથી 18 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ઉપરાંત વીજળી પડવાથી અનેક પશુઓના પણ મોત થયાં હતા.
અમરેલીના જાફરાબાદ, બોટાદના બરવાળા, મહેસાણાના કડી, તેમજ ભરૂચ, સુરેન્દ્રનગર, સાબરકાંઠાના ઈડર, તાપી, દાહોદ, બાવળા, પાટણ, ખંભાળિયા, કાલોલ અને વિરમગામમાં પણ વીજળી પડવાથી મોત થયાના સમાચાર સામે આવ્યાં છે. તો બીજી બાજુ ભારે પવનના કારણે મહેસાણામાં ઝાડ નીચે દબાઈ જતાં એક રીક્ષા ચાલકનું મોત થયું છે.