વર્ષોથી ભ્રષ્ટાચાર સિસ્ટમનો એક ભાગ થઈ ગયો છે. ભ્રષ્ટાચારના વધતા જતા સડાને અંકુશમાં રાખવા ACB, CBI સહિતની એજન્સીઓ કાર્યરત છે. બોટાદ વિધાનસભા બેઠકના MLA ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખેલો પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉમેશ મકવાણા ધારાસભ્ય, ગુજરાત 107 – બોટાદ વિધાનસભાના સરકારી લેટર પેડ પર ગત 8 ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીને સંબોધીને મારા ઉપર એસીબીની તપાસ મુકવા બાબત વિષયે લખવામાં આવ્યું છે.
લખવામાં આવ્યું છે કે, મારા ધારાસભ્ય તરીકે એકવર્ષ પૂર્ણ થાય છે. જેના અનુસંધાને મારા ઉપર આવક અને સંપત્તિની એસીબી દ્ધારા તપાસ કરવામાં આવે. સાથે સાથે ગુજરાતના તમામ ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદ સભ્યો અને ગુજરાતના તમામ આઈપીએસ તથા આઈએએસકક્ષાના અધિકારીઓ ઉપર પણ એસીબી દ્ધારા તપાસ કરવામાં આવે. જેનો અહેવાલ ઓનલાઈન ગુજરાત સરકારની વેબ સાઈટ પર મુકવામાં આવે. જેને ગુજરાતની જનતા જાણી શકે.
પત્ર લખવાનો વિચાર કેવી રીતે આવ્યો તે બાબતે તેમણે કહ્યું કે, હું જ્યારે ધારાસભ્ય ન હતો ત્યારે “MLA રોડ ખાઈ ગયો – MLA પુલ ખાઈ ગયો” આવી વાતો થતી હતી. જ્યારે હું ધારાસભ્ય બન્યો ત્યારે જાણ થઈ કે, લોકશાહીમાં ધારાસભ્ય પાસે તો કોઈ સત્તા જ નથી. સત્તા તો IAS અને IPS પાસે જ છે. દરેક ધારાસભ્યે મતક્ષેત્રમાં કરેલી કામગીરીનું સરવૈયું દર વર્ષે આપવું જોઈએ. હું આગામી 26 ડિસેમ્બરના રોજ એક વર્ષમાં મેળવેલો પગાર, અન્ય કમાણી અને મારી મિલકત જાહેર કરીશ. હું બાકી ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદ સભ્યો અને ખાસ કરીને IAS – IPS અધિકારી પાસે આવી જ અપેક્ષા રાખું છું.