ભાવનગર મહાપાલિકા વિસ્તારની આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકરો અને તેડાગરની ૭૨ જગ્યા માટે ઓનલાઈન ભરતી હાથ ધરાઇ છે, જેમાં રિજેક્ટ થયેલ ઉમેદવારો માટે અપીલનું આયોજન કરાયુ હતું પરંતુ તંત્ર વાહકો અરજદારોને સાંભળવાને બદલે તેને કરેલી ભૂલો દેખાડવા જ રૂબરૂ બોલાવતા હોવાનો ગણગણાટ વ્યાપ્યો હતો.
આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકરો અને તેડાગરની ૭૨ જગ્યા માટે લગભગ ૨ હજાર ઓનલાઈન અરજી થઈ છે, જે પૈકી રિજેક્ટ કરાયેલા ઉમેદવારોને જાણ કરી અપીલમાં બોલાવતા અરજદારે કરેલી ભૂલ દર્શાવીને કારણ સ્પષ્ટ કરાતું હતું. ઘણા ખરા કિસ્સામાં વિસંગતતાઓ જોવા મળી હતી, જેમ કે અરજદારોને માર્ક અને ટકા દર્શાવવાના નિયમ છે પરંતુ જેમણે જીટીયું કર્યું છે તેમને ગ્રેડ મળે છે. આથી અરજદારે અપલોડ કરેલું સર્ટિફિકેટ અમાન્ય ઠેરવાય છે. કેટલાક કિસ્સામાં ફોર્મ ભરવામાં સામાન્ય ભૂલ થઈ હોય છે, અરજદારો અસલ આધાર પુરાવા સાથે ઉપસ્થિત રહી ખુલાસા આપે છે છતાં ભૂલ અમાન્ય ઠેરવી અરજદારને બહાર કરી દેવામાં આવી રહ્યા હોવાની રાવ ઉઠી છે.
અપીલમાં બોલાવી માત્ર તંત્રની ભૂલ હોય તો જ સુધરે, અરજદારની કોઈ ભૂલ નહિ સુધારવા વલણ અપનાવતા આ અપીલનો કોઈ અર્થ જ નહિ હોવાનો સુર ઉઠ્યો છે. બોટાદમાં આવા જ કારણોસર વિવાદ અને વિરોધ થયો છે. ભાવનગરમાં પણ આ વિવાદ આગળ વધી રહ્યો છે. બંને જગ્યાએ પી. ઓ તરીકે એક જ અધિકારી છે.! વધુમાં નીચેનો સ્ટાફ ભરતી પ્રક્રિયામાં ઉચ્ચ અધિકારીઓને ઊંધા ચસ્માં પહેરાવતો હોવાની ભારે ચર્ચાઓ છે ત્યારે જવાબદાર અધિકારીની કાબેલિયત અને ગતાગમ અંગે પ્રશ્નો ઉઠ્યા છે.