પંજાબના ખેડૂત સંગઠનો દ્વારા હરિયાણા થઈને દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂત સંગઠને13 ફેબ્રુઆરીએ ‘દિલ્હી ચલો’ કૂચની ઘોષણા કરતા દેશના અન્ય ભાગોમાંથી પણ ખેડૂતો આ આંદોલનમાં જોડાઈ તેવી સંભાવના છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા દ્વારા MSP કાનૂન બનાવવા સહિતના પડતર પ્રશ્નોને લઈને કેન્દ્ર પર દબાણ બનાવવા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ખેડૂતોની દિલ્હી કૂચને લઈને હરિયાણાથી દિલ્હીના માર્ગોને લઈને સુરક્ષામાં વધારો કરવા પોલીસ એલર્ટ થઈ છે. ખેડૂત આંદોલનને લઈને ડીજીપીએ લોકોને રાજ્યમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે લોકોને ખોટી અફવા ના ફેલાવવા અપીલ કરી છે.
DGPએ કહ્યું કે ઘણા જિલ્લાઓમાં ટ્રાફિકના માર્ગો વાળવામાં આવશે. DGP શત્રુજીત કપૂરે શુક્રવારે રાજ્યના ટોચના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને ભાવિ વ્યૂહરચના અંગે વિચાર-વિમર્શ કર્યો હતો. તેમણે માહિતી આપી હતી કે કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવેલી અર્ધલશ્કરી દળોની 50 કંપનીઓ આવવા લાગી છે. એક અધિકારીએ માહિતી આપી કે પંજાબ અને ઉત્તર પ્રદેશની સરહદે આવેલા જિલ્લાઓમાં શુક્રવારથી આ દળોની તૈનાતીનું કામ શરૂ થઈ ગયું છે.