મહારાષ્ટ્રમાં ચાર દાયકા જૂના સંઘર્ષનો અંત લાવવા માટે મરાઠાઓને 10થી 12 ટકા આરક્ષણ આપવામાં આવી શકે છે. એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારે આ માટે એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે, જેને મંગળવારે યોજાનાર રાજ્ય વિધાનસભાના એક દિવસીય વિશેષ સત્રમાં મંજૂરી મળી શકે છે.
મરાઠાઓ માટે આરક્ષણની માંગ પર સતત અસંતોષ વચ્ચે બોલાવવામાં આવેલ રાજ્ય વિધાનસભાનું વિશેષ સત્ર રાજ્યપાલ રમેશ બૈસના સંબોધન સાથે શરૂ થશે. ત્યારબાદ રાજ્ય પછાત વર્ગ આયોગનો અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. જેમાં મરાઠાઓને પછાત જાહેર કરીને તેમને અનામત આપવાની ભલામણ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે મરાઠા આરક્ષણનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે અને તેને વિધાનસભામાં રજૂ કરતા પહેલા મંગળવારે સવારે રાજ્ય કેબિનેટની બેઠકમાં મંજૂર કરવામાં આવશે. જે ભૂલોના આધારે સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણને ફગાવી દીધું હતું તેને ડ્રાફ્ટમાં દૂર કરવામાં આવી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે કહ્યું હતું કે મરાઠા સમુદાય માટે અનામતને ટકાઉ અને કાયદાના દાયરામાં રાખવા માટે વિધાનસભાના વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. ઓબીસી અથવા અન્ય સમુદાયના આરક્ષણને નુકસાન પહોંચાડ્યા વિના મરાઠા સમુદાયને અનામત આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું છે કે અમે એવું આરક્ષણ આપીશું જે મનોજ જરાંગેને સ્વીકાર્ય હોય કે ન હોય પણ મરાઠાઓને સ્વીકાર્ય હોય.
મરાઠા આરક્ષણ માટે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે પાટીલે સોમવારે તમામ મરાઠા ધારાસભ્યોને સર્વસંમતિથી અનામતને સમર્થન આપવા અપીલ કરી હતી. જો સમાજના ધારાસભ્યો અનામતને લઈને અવાજ નહીં ઉઠાવે તો સમજાશે કે તેઓ મરાઠા વિરોધી છે. તેમણે કહ્યું કે અનામતમાં સંબંધીઓનો ઉલ્લેખ હોવો જોઈએ. જો તેનો અમલ નહીં થાય તો 21મી ફેબ્રુઆરીથી નવી રીતે આંદોલન શરૂ કરીશું.