રશિયા- યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ યુરોપ સાથે રશિયાનો વેપાર ઘટ્યો છે. આવી સ્થિતિમાં મોસ્કોએ ભારત, ચીન અને મિડલ ઈસ્ટના દેશો સાથે વેપાર વધાર્યો છે. હવે રશિયા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરી રહ્યું છે, જેનાથી પશ્ચિમી દેશો પર તેની નિર્ભરતા સંપૂર્ણપણે દુર થઈ શકે.
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, તેનો સૌથી મોટો હિસ્સો 14 હજાર કરોડ રૂપિયાની 165 કિલોમીટર લાંબો રેલમાર્ગ છે જે રશિયાને ઈરાનના પોર્ટ સાથે જોડશે. આનાથી રશિયાના મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગ જેવા શહેરોથી મુંબઈ પહોંચવું ખૂબ જ સરળ બનશે. આ પ્રોજેક્ટ માટે રશિયા ઈરાનને લગભગ 11 હજાર કરોડ રૂપિયાની લોન પણ આપી રહ્યું છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે નવા રૂટથી સેન્ટ પીટર્સબર્ગથી મુંબઈ સુધીના કાર્ગો માટે મુસાફરીનો સમય 30થી ઘટાડીને માત્ર 10 દિવસ થશે. રશિયન અધિકારીઓ તેને એક ક્રાંતિકારી પ્રોજેક્ટ ગણાવી રહ્યા છે જે સુએઝ કેનાલને પડકારશે. નવી રેલવે લાઈન ઈરાનના બે શહેરો અસ્તારા અને રશ્તને જોડશે. ઉત્તરમાં ઈરાન અને અઝરબૈજાનમાં ટ્રેકને જોડતા તે રશિયાના રેલવે ગ્રીડ સાથે જોડાશે. આ રેલવે લિંક 2028 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. આ રેલવે 7200 કિમી ઇન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) નો ભાગ છે.
રેલવે માર્ગ દ્વારા, રશિયન ઉદ્યોગપતિઓ માટે ભારત ઉપરાંત સાઉદી અરેબિયા, યુએઈ અને પાકિસ્તાન જેવા દેશોમાં પહોંચવું સરળ બનશે. આ સિવાય તે રશિયા અને ચીન વચ્ચે ટ્રેડિંગ રૂટ માટે નવા વિકલ્પો પણ આપશે.
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, રશિયાનો ચીન સાથેનો વેપાર 2021થી 61% વધીને 2023માં 19.88 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો છે. ભારત સાથે રશિયાનો વેપાર પણ 2021ની સરખામણીમાં ચાર ગણો વધ્યો છે અને 5.38 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. 2023માં બંને દેશો સાથે રશિયાનો વેપાર યુક્રેન યુદ્ધ પહેલા EU સાથેના વેપાર કરતાં ઘણો વધુ છે.