પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચૂકે પૂર્ણ રાજ્યના દરજ્જા, ૬ઠ્ઠી અનુસૂચિમાં લદ્દાખના સમાવેશ સહિત કેટલીક માગણીઓ સાથે ૨૧ દિવસ સુધી ભૂખ હડતાળ કર્યા પછી ગાંધી ચિંધ્યા ‘સત્યાગ્રહ’ના માર્ગે આંદોલન ચાલુ રાખવાની હાકલ કરી છે. આ સાથે તેમણે દાવો કર્યો હતો કે, તેઓ આ મહિને લદ્દાખના લગભગ ૧૦,૦૦૦ લોકો સાથે ચીનની સરહદ સુધી મોરચો કાઢશે, જેથી દુનિયાને એ બતાવી શકાય કે ચીને ભારતની ૪,૦૦૦થી વધુ કિ.મી. જમીન પચાવી પાડી છે. વાંગચૂકના આ દાવાથી ખળભળાટ મચી ગયો છે.
લદ્દાખ માટે કેટલીક માગણીઓ સાથે શૂન્ય ડિગ્રીથી નીચા તાપમાને આમરણ ઉપવાસ કરનારા પર્યાવરણ કાર્યકર સોનમ વાંગચૂકે ૨૧ દિવસ પછી પારણાં કર્યા હતા. જોકે, તેમણે પોતાની માગણીઓ માટેનું આંદોલન ‘સત્યાગ્રહ’ના માર્ગે ચાલુ રાખવાનો દાવો કર્યો હતો. આ સાથે તેમણે દાવો કર્યો હતો કે છેલ્લા એક દાયકામાં ચીને ભારતની ૪,૦૦૦થી વધુ કિ.મી.ની જમીન પચાવી પાડી છે. લદ્દાખના ભરવાડોને પહેલા તેઓ જ્યાં ઢોર ચરાવવા જતા હતા ત્યાં જવા દેવાતા નથી. હવે તેમને અનેક કિ.મી. પહેલા જ અટકાવી દેવાય છે. કારણ કે આ વિસ્તારમાં ભારતની ભૂમી ચીને પચાવી પાડી છે પરંતુ તેની દેશ અને દુનિયાને જાણ થવા દેવાતી નથી.
વાંગચૂકે કહ્યું કે, અમે ચીન સાથે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર પેંગોંગ ત્સો સરોવરના ઉત્તરી અને દક્ષિણી કિનારે ફિંગર એરિયા, ડેમચોક, ચુશુલ સહિત અન્ય વિસ્તારોમાં ૧૦,૦૦૦ લોકો સાથે માર્ચ કાઢીશું. આ રેલી ૭ એપ્રિલે યોજવામાં આવશે. તેમણે ઉમેર્યું કે,અમે આ માર્ચ દરમિયાન એવા પ્રદેશો, ઢોરોને ચરાવવા માટેની મુખ્ય જમીનો પણ બતાવીશું જેને સૌર પાર્કમાં બદલવામાં આવી રહી છે ભાજપ પર વચન ભંગ કરવાનો આરોપ મૂકતા તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે લદ્દાખના લોકોને વચન આપ્યું હતું કે આ વિસ્તારનો છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરાશે, પરંતુ હવે સરકારે આ વચન પાળવાનો ઈન્કાર કરી દીધો છે. આ વિશ્વાસ તોડવા સમાન છે.