મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદમાં હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે મુસ્લિમ પક્ષની વાંધા અરજી ફગાવી દીધી હતી. અલાહાબાદ હાઈકોર્ટે ગુરુવારે આ નિર્ણય સંભળાવ્યો. હાઈકોર્ટે કહ્યું હતું કે હિંદુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી 18 અરજી પર એકસાથે સુનાવણી કરવામાં આવશે. જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આ નિર્ણય આપ્યો છે. હિન્દુ પક્ષ તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે શાહી ઇદગાહનો અઢી એકર વિસ્તાર મસ્જિદ નથી. એ કૃષ્ણ મંદિરનું ગર્ભગૃહ છે.
એ જ સમયે મુસ્લિમ પક્ષે દલીલ કરી હતી કે મસ્જિદ માટે જગ્યા 1968માં થયેલા કરાર હેઠળ આપવામાં આવી હતી. 60 વર્ષ પછીના કરારને ખોટો કહેવો યોગ્ય નથી. હિન્દુ પક્ષની અરજીઓ સાંભળવા યોગ્ય નથી. જોકે હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મુસ્લિમ પક્ષની આ દલીલ સ્વીકારી ન હતી. હવે હિન્દુ પક્ષની 18 અરજી પર એકસાથે સુનાવણી થશે.
હિંદુ પક્ષ એડવોકેટ કમિશન સર્વે માટે સુપ્રીમ કોર્ટમાં જશે
હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું- પહેલી અરજી 25 સપ્ટેમ્બર 2020ના રોજ દાખલ કરવામાં આવી હતી. 4 મહિના સુધી સુનાવણી ચાલી. આજે હાઈકોર્ટે 18 અરજીને સુનાવણી લાયક ગણી હતી. હવે આ કેસમાં ટ્રાયલ ચાલશે. અમને પુરાવા રજૂ કરવાની તક મળશે. સુપ્રીમ કોર્ટે એડવોકેટ કમિશનના સર્વે માટે અલાહાબાદ હાઇકોર્ટના આદેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બહુ જલદી અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું. વકીલો શ્રીકૃષ્ણ જન્મભૂમિમાં ઇદગાહના સ્ટે અને કમિશન સર્વેક્ષણને પુનઃસ્થાપિત કરવાની માગ કરશે.