ભારતીય કોસ્ટ ગાર્ડના વડા રાકેશ પાલનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેમને છાતીમાં દુખાવો થતા રાજીવ ગાંધી જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમણે આજે અંતિમ શ્વાસ લીધા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને રાકેશ પાલને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાકેશ પાલ ઉત્તર પ્રદેશનો રહેવાસી હતા. તેઓ જાન્યુઆરી 1989માં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં જોડાયા હતા. ગયા વર્ષે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)ના 25મા મહાનિર્દેશક તરીકે નિયુક્ત થયા હતા.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) DGના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં લખ્યું કે, તેઓ એક સક્ષમ અને પ્રતિબદ્ધ અધિકારી હતા, જેમના નેતૃત્વમાં ICG ભારતની દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવામાં ઘણી પ્રગતિ કરી રહ્યું હતું. તેમના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદના.