ઇઝરાયેલ સાથે ચાલતા સંઘર્ષમાં આતંકવાદી સંગઠન હિજબુલ્લાહે પહેલી જ વાર તેલ અવીવમાં હુમલો કર્યો છે. તેના લીધે ઇઝરાયેલ હચમચી ગયું છે. તેના લીધે તેલઅવીવમાં હાઈ એલર્ટ છે. તેલ અવીવમાં આખી રાત ચેતવણીની સાઇરન વાગતી રહી હતી. જો કે કેટલાય રોકેટને ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમે ખતમ કરી દીધા હતા. જો કે મિસાઇલને હવામાં જ ખતમ કરી દેવાતા મોસાદને નુકસાન થયું નથી.
ઇઝરાયેલે પોતાની ડેવિડ સ્લિંગ નામની એર ડિફેન્સ સિસ્ટમ વડે મિસાઇલને હવામાં જ ઉડાવી દીધું હતું. આ એક મધ્યમ અંતરનુ બેલિસ્ટિક મિસાઇલ છે જેને ટૂંકા અંતરના મિસાઇલોને રોકવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આઇડીએફનું કહેવું છે કે જે સ્થળેથી રોકેટ છોડવામાં આવ્યા હતા ત્યાં તેણે એરસ્ટ્રાઇક કરી છે અને લોન્ચરને ખતમ કરી નાખ્યું છે. આઇડીએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મંગળવારે ઇઝરાયેલે ૩૦૦ રોકેટ છોડયા હતા.
લેબનોનમાં બુધવારે પણ એરસ્ટ્રાઇક જારી રાખતા ૨૬ હુમલામાં ૫૧ના મોત થયા હતા અને ૨૨૩ ઘાયલ છે. મૃતકોમાં ૧૦ સીરિયન અને ૧૫ લેબનીઝ નાગરિકો સામેલ છે. આ પહેલા ઇઝરાયેલે લેબનોનમાં હિજબુલ્લાહના ૧,૬૦૦ ઠેકાણાઓ પર કરેલા હુમલામાં લગભગ પોણા છસો લોકોના મોત થયા હતા. ઇઝરાયેલના લડાકુ વિમાનોની ગર્જનાથી દક્ષિણ લેબનોનમાં ભયનું વાતાવરણ છે. ઇઝરાયેલે હવે દક્ષિણ લેબનોનના ગામ અને કસબાઓને નિશાન બનાવવા માંડયા છે, જેથી કોઈ હિજબુલ્લાહને શરણ આપવાનું પણ ન વિચારી શકે.
હિજબુલ્લાહે લોકોને બારકોડ સ્કેન ન કરવાની સલાહ આપી
આ ઉપરાંત હિજબુલ્લાહના સંચાર વિભાગે દાવો કર્યો છે કે ઇઝરાયેલ બેક્કા ઘાટીમાં બારકોડવાળા પરચા છોડી રહ્યુ છે. હિજબુલ્લાહે લોકોને બારકોડ સ્કેન ન કરવાની સલાહ આપી છે. આ ખતરનાક બારકોડને તરત જ ખતમ કરવાની સલાહ આપી છે. આ માધ્યમથી જાસૂસી થઈ શકે છે અને સુરક્ષા પણ ભયમાં મૂકાઈ શકે છે. ઇઝરાયેલે કરેલા પેજર અને વોકીટોકી બ્લાસ્ટના લીધે હિજઝબુલ્લાના ૧,૫૦૦ લડાકુઓ કાયમ માટે અપંગ થઈ ગયા છે. આમ તેઓ હવે હિજબુલ્લાહ માટે કોઈ કામના રહ્યા નથી. બીજા શબ્દોમાં કહીએ તો તે કોઈપણ રીતે લડી શકવાની સ્થિતિમાં નથી. આમ હિજબુલ્લાહે લગભગ ૫૦ના મોત પછી બીજા ૧,૬૦૦ લડવૈયાથી હાથ ધોવા પડયા છે. હિજબુલ્લાહ સાથેનું યુદ્ધ વધુને વધુ ઘેરુ બનતા ઇજરાયેલે તેની રિઝર્વ ફોર્સને તૈયાર રહેવા માટે જમાવી દીધું છે. લશ્કરે જણાવ્યું હતું કે બે રિઝર્વ બ્રિગેડને તૈયાર રહેવા જણાવી દીધું છે. હિજબુલ્લાહે તેલઅવીવ પર મિસાઇલ છોડયાના ગણતરીના કલાકોમાં આ નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત ઇઝરાયેલના દક્ષિણ લેબનોન પરના હુમલા પછી લગભગ એક લાખ લોકો વિસ્થાપિત થયા છે. બધાએ ઉત્તર લેબનોન અથવા સીરિયા તરફ જવા માટેની દોડ પકડી છે.