રાજ્યમાં વડોદરા જેવી જ વધુ એક શર્મનાક ઘટના સામે આવી છે. સુરતના માંગરોળના બોરસરાં ગામની સીમમાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. રાત્રીના સમયે સગીરા તેના એક મિત્ર જોડે ઊભી હતી તે દરમિયાન અજાણ્યા ત્રણ ઈસમો આવ્યા હતા. અજાણ્યા ઈસમોએ સગીરા સાથેના યુવકને માર મારી ભગાડી દીધો હતો. બાદમાં નજીકમાં અવાવરું જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. ત્રણ પૈકી એક ઈસમે દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. અન્ય બે ઈસમોએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં એ તપાસનો વિષય છે.
વડોદરાના ભાઇલીમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મનો રોષ શમ્યો નથી, ત્યાં તો રાજ્યના ગૃહમંત્રીના જિલ્લામાંથી સામૂહિક દુષ્કર્મની ઘટનાને પગલે સુરત જિલ્લા રેન્જ IG, સુરત જિલ્લા પોલીસ વડા, LCB, SOG અને કોસંબા પોલીસ સ્થળ પર પહોંચ્યા છે. તેમજ આરોપીને પકડવા માટે ડોગ સ્કોડની મદદ લેવાઇ છે. હાલ પીડિતાના પરિવારનાં નિવેદનો લેવાઈ રહ્યાં છે.
દરીંદાઓને ફાંસીથી ઓછી સજા ન થવી જોઈએ : હર્ષ સંઘવી
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છઠ્ઠા નોરતે રાજકોટ આવી પહોંચ્યા હતા. શહેરના યુનિટી ફાઉન્ડેશનના ગરબામાં તેઓએ માતાજીની આરતી ઉતારી આશીર્વાદ મેળવ્યા હતા. બાદમાં ખેલૈયાઓને જણાવ્યું હતું કે, રાજકોટવાસીઓ ગરબે રમવાની મજા આવી? કોઈ મોડે સુધી ગરબે રમતા રોકવા આવ્યું? ઘણાને ગરબા રમતા કરતા રોકવામાં મજા છે. જ્યારે વડોદરા ગેંગરેપને લઈ કહ્યું હતું કે, મા અંબાના ચરણોમાં એક પ્રાર્થના કરી હતી કે આ દરીંદાઓ દુનિયાના કોઈપણ ખૂણે છૂપાયેલા હોય તો મારી ગુજરાતની પોલીસને તેને પકડવાની શક્તિ આપજે અને તે પકડાય ગયા. આજે મા અંબાને પ્રાર્થના કરી એક જ મનોકામના માગી છે કે, આ દરીંદાઓને ફાંસીથી ઓછી સજા ન થવી જોઈએ.