ગુજરાત હાઈકોર્ટમાં વધુ ત્રણ ન્યાયમૂર્તિઓની નિમણૂક માટે સુપ્રીમકોર્ટની કોલેજીયમે થોડા દિવસ પહેલાં કરેલી ભલામણ અનુસંધાનમાં કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. જેને પગલે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ તરીકે સંજીવ જયેન્દ્ર ઠાકર, દિપતેન્દ્ર નારાયણ રે (ડી.એન.રે) અને મૌલિક જીતેન્દ્ર શેલતની નિમણૂક કરાઈ છે. આ નવા ન્યાયમૂર્તિઓની નિમણૂક સાથે ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયમૂર્તિનું કુલ સંખ્યાબળ 33 થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વિશે જાહેરનામું પણ રજૂ કરવામાં આવ્યું છે.
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ, સુનિતા અગ્રવાલ દ્વારા બે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની સાથે સલાહ બાદ ત્રણ વકીલોને હાઈકોર્ટ જજ તરીકે નિયુકત કરવા બાબતની ભલામણ 22 ડિસેમ્બર, 2023ના દિવસે સુપ્રીમકોર્ટમાં મોકલવામાં આવી હતી. ઓગસ્ટ 2024માં સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ બી.આર. ગવઈની કોલેજીયમે આ નામોને લઈને જરૂરી ચર્ચા-વિચારણા હાથ ધરી હતી. સુપ્રીમકોર્ટની કોલેજીયમ દ્વારા તેમની સમક્ષ રજૂ કરાયેલા મટીરીયલ્સ, દસ્તાવેજો સહિતની બાબતોની ચકાસણી કરાઈ હતી અને ન્યાય મંત્રાલય દ્વારા આ અંગેની ફાઇલમાં કરાયેલા તારણોને ધ્યાને લેવાયા હતાં.