સૌરાષ્ટ્રમાં દિવાળીને હવે માત્ર ૧૦ દિવસ બાકી છે છતાં મેઘાવી માહોલ વિખેરાતો નથી. છેલ્લા ચોવીસ
કલાકમાં સૌરાષ્ટ્રમાં પ્રચંડ ગાજવીજ સાથે સાત ઇંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો. જેમાં કાલાવડ,
ગોંડલ અને લોધિકા પંથકમાં ૫ થી ૭ ઇંચ વરસાદે ખેતીપાકનો સોંથ વાળી દીધો હતો. ગિરનાર, મેંદરડા,
માળિયા હાટિનામાં પણ ચાર ઇંચ વરસાદે જળ બંબાકાર સર્જી દીધો હતો. રાજકોટ શહેરમાં બપોરે કરાં
જેવા મોટા છાંટા સાથે વરસેલા ત્રણ ઇંચ વરસાદથી માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં.
રાજકોટ શહેર-જિલ્લામાં ગાજવીજ સાથેના વરસાદે જળબંબોળ કરી દીધા હતા. સૌથી વધુ લોધિકા અને
સુલતાનપુરમાં ધુંઆધાર પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર થઇ ગયો હતો. રાજકોટ શહેરમાં પણ બપોરે
બે વાગ્યે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો અને બે કલાકમાં ત્રણ ઇંચ વરસી જતાં માર્ગો જળબંબોળ થઇ
ગયા હતા. કોટડા સાંગાણીમાં બપોરે ત્રણ વાગ્યાથી એક કલાકમાં મુશળધાર બે ઇંચ વરસાદ તુટી પડયો
હતો. જેથી ગોંડલ નદી અને વાછપરી નદીમાં પૂર આવ્યું હતું. ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ગત
સાંજે ૪ થી ૫-૩૦ વાગ્યાની વચ્ચે આભ ફાટયું હોય એમ દોઢ કલાકમાં જ સુપડાધારે પાંચ ઇંચ વરસાદ
વરસી જતા ગ્રામજનો ફફડી ગયા હતા. ભારે વરસાદથી ૧૦૦૦ એકરમાં વાવેલી મગફળીનાં કાઢેલા
પાથરા તણાઇ ગયા હતા. ધોરાજી અને જસદણમાં એક ઇંચ, મોટી મારડમાં અઢી ઇંચ, જેતપુર, ઉપલેટા,
જામકંડોરણા, પડધરીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.
જૂનાગઢ જિલ્લામાં ૪ ઇંચ સુધીનું માવઠું વરસ્યું હતું. ગિરનાર પર્વત ઉપરાંત માળિયા હાટીના, મેંદરડા
અને વિસાવદરના મોટી મોણપરી ગામે સાંબેલાધારે ચાર ઇંચ વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઇ
હતી. ગિરનાર પરથી પાણીનો ધોધ વહી નીકળ્યો હતો. જૂનાગઢમાં અઢી અને વંથલીમાં દોઢ, કેશોદ
અને વિસાવદરમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો. માણાવદરમાં અડધો ઇંચ, પણ ગ્રામ્યમાં ૩ ઇંચ
સુધીનો વરસાદ વરસ્યો હતો. એ જ રીતે ગીર સોમનાથ જિલ્લામાં કોડીનારના ડોળાસામાં બે ઇંચ તથા
તાલાલા અને ઉનામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.
અમરેલી જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી પડયો હતો. સૌથી વધુ વડિયામાં સાંબેલાધારે ત્રણ ઇંચ
વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. એ જ રીતે ખાંભા અને સાવરકુંડલામાં દોઢ ઇંચ તથા લીલીયા અને
અમરેલીમાં ધોધમાર એક ઇંચ વરસાદે સર્વત્ર પાણી-પાણી કરી નાખ્યું હતું. આ ઉપરાંત અનેક ગ્રામ્ય
વિસ્તારોમાં પણ ૩ થી ૪ ઇંચ જેવા વરસાદથી નદીઓમાં પૂર આવ્યા હતા અને જળાશયો છલકાયા હતા.
ગાજવીજ સાથેના તોફાની વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન સહિતનાં ખેતીપાકને નુકશાન થયું છે.
વાછોડા ગામે વીજળી પડતા પરપ્રાંતિય મજૂરનું મોત
પોરબંદરના બગવદર નજીક આવેલા વાછોડા ગામે ખેત મજૂરી કરવા આવેલી યુવાનનું વીજળી પડતા
મોત નિપજ્યું હતું. મધ્ય પ્રદેશનો સુરેશ કુંવરસિંહ બામણીયા નામનો ૨૫ વર્ષનો યુવાન હાલ વાછોડા
ગામે આતીયાભાઇ વિશાણાની વાડીએ રહેતો હતો અને ખેત મજુરી કરવા આવ્યો હતો. ગઇકાલે સાંજે
વાડીના ઝુપડા બહારે ઉભો હતો અને વરસાદ ચાલુ હતો એ દરમિયાન અચાનક તેની આજુબાજુમાં બે
વખત વીજળી પડતા સુરેશ વીજળીના સંપર્કમાં આવ્યો હતો અને તેનું મોત થયું હતું.