કોઈ વ્યક્તિનું મોત થયાના 20 મહિના પછી ખબર પડી કે તેની હત્યા થઈ છે? ફેબ્રુઆરી 2023ના અમદાવાદમાં એક 25થી 30 વર્ષના યુવકની લાશ મળી હતી. સામન્ય રીતે પોલીસે પ્રાથમિક તપાસમાં અકસ્માતે મોત નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, 20 મહિના બાદ આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટને જોઇ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેનું કારણ એ હતું કે, રિપોર્ટ જોયા બાદ પોલીસને ખબર પડી હતી કે, આ યુવકનું મોત અકસ્માતે નહીં પણ તેની માર મારી હત્યા કરવામાં આવી હતી. જોકે, 20 મહિના થયાં છતાં મૃતક યુવકની ઓળખ હજી સુધી થઈ નથી અને તેના મૃતદેહના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હતા. એટલે કે તેના પરિવારજનો કોણ છે તે પણ ખબર પડી નથી અને તેનો હથિયારો કોણ છે તે પણ ખબર નથી, ત્યારે આ ઘટનામાં મૃતક કોણ છે અને અત્યાર સુધી રિપોર્ટ કેમ મોડો આવ્યો તે ખૂબ જ શંકાસ્પદ બાબત છે. અમદાવાદ જેવા મોટા શહેરમાં જો તપાસમાં એક એજન્સી દ્વારા આટલું મોડું કરવામાં આવે તો તે અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે.
અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલા કારગીલ પેટ્રોલ પંપ પાસે 1 ફેબ્રુઆરી 2023ના વહેલી સવારે બ્રિજની પાસે આવેલી એક દુકાનની નજીક એક 25થી 30 વર્ષના યુવકની લાશ પડી હતી. અહીં ઘણી જગ્યાએ બ્રિજ નીચે લોકો બિનવારસી રહેતા હોય છે અને જેમ તેમ કરીને પોતાના દિવસો કાઢતા હોય છે. સમાન્ય રીતે કોઈ વ્યક્તિ પસાર થાય તો અજાણ્યો વ્યક્તિ સમજીને આગળ વધી જાય છે, પરંતુ આ બ્રિજ નીચે એવી ઘટના બની જે 20 મહિના બાદ ઉકેલાઈ છે.
સવારે લાશ પડેલી જોઇને એક વ્યક્તિએ સોલા પોલીસને ફોન કરી જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસ સામાન્ય રીતે કોઇ વ્યક્તિની બિનવારસી લાશ મળી છે તે રીતે તપાસમાં ગઈ હતી અને પ્રથમ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને સોલા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે અકસ્માતે મોત નોંધીને તપાસ શરૂ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો તેમાં પોલીસને હેમરેજ થયું હોવાનું ખબર પડી હતી, પરંતુ હજી પણ આ તપાસ અહીંયા અટકી ન હતી કારણ કે, શરીર પર બીજા નિશાન હતા. આ નિશાન પડી જવાથી કે અન્ય કોઇ કારણસર હતા તે હજી સ્પષ્ટ થયું ન હતું. એટલે તત્કાલિન પોલીસ ઇન્સ્પેક્ટરે આ પોસ્ટમોર્ટમ રિપોર્ટનો ડિટેઇલમાં અભિપ્રાય માગ્યો હતો.
સોલા પોલીસ દ્વારા સમગ્ર મામલે અભિપ્રાય જોતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કારણ કે, તેઓ જે અકસ્માતે મોત સમજતા હતા તે યુવકનું મોત ડંડા જેવી વસ્તુઓથી માર મારવાથી થયું હોય તેવું સ્પષ્ટ થયું હતું. એટલે કે, 20 મહિના બાદ પોલીસને ખબર પડી હતી કે જે યુવકની લાશ બ્રિજ નીચેથી મળી હતી તે ખરેખર કોઇએ તેની હત્યા કરીને ફેંકી દીધી હતી. આ મામલે હાલ સોલા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.