ઉત્તરાખંડના ચાર ધામના કપાટ શિયાળા માટે બંધ થવા લાગ્યા છે, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા પૂર્ણ થઈ ગઈ છે. 17મી નવેમ્બરે બદ્રીનાથ ધામના કપાટ બંધ થવાની સાથે યાત્રાનો સમય પૂર્ણ થશે. અત્યાર સુધીમાં 46.74 લાખ શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કર્યા છે.
આ વર્ષે ચારધામ જનારા યાત્રિકોની સંખ્યામાં 10 લાખથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આનું કારણ વરસાદને કારણે ભૂસ્ખલન જેવી દુર્ઘટનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. આ વખતે ચારધામ યાત્રાના રૂટ પર વધુ 20 દિવસ વરસાદ રહ્યો હતો. જેના કારણે સામાન્ય કરતાં 12% વધુ વરસાદ નોંધાયો હતો.
સામાન્ય રીતે 1121 મીમી વરસાદ નોંધાય છે પરંતુ આ વખતે 1230 મીમી વરસાદ પડ્યો હતો. 2023માં યાત્રીઓની સંખ્યા 56 લાખથી વધુ હતી જે પ્રવાસના ઇતિહાસમાં સૌથી વધુ મુસાફરોનો રેકોર્ડ છે.
2024 – મેથી જુલાઈના મધ્ય સુધીમાં લગભગ 31 લાખ શ્રદ્ધાળુઓએ ચાર ધામની મુલાકાત લીધી હતી ત્યાર બાદ ભારે વરસાદને કારણે કુદરતી આફતોએ વિનાશ વેર્યો હતો. 31 જુલાઈની રાત્રે કેદારનાથ પગપાળા માર્ગ પર વાદળ ફાટ્યા બાદ સોન પ્રયાગ નજીક હાઈવેનો લગભગ 150 મીટરનો ભાગ બંધ થઈ ગયો હતો. હાઇવે ફરીથી તૈયાર થતાં એક મહિના કરતાં વધુ સમય લાગ્યો હતો.
ચાર ધામમાં સૌથી વધુ શ્રદ્ધાળુ કેદારનાથ પહોંચી રહ્યા છે. આ વર્ષે 16.52 લાખ શ્રદ્ધાળુઓએ કેદારનાથની મુલાકાત લીધી હતી. જ્યારે 12.98 લાખ શ્રદ્ધાળુઓએ બદ્રીનાથ, 8.15 લાખ ગંગોત્રી અને 7.14 લાખ શ્રદ્ધાળુઓએ યમુનોત્રી ધામની મુલાકાત લીધી હતી. 1.83 લાખ શ્રદ્ધાળુઓ પણ શ્રી હેમકુંટ સાહિબના દર્શન કર્યા હતા.
આદિ કૈલાશ યાત્રા પણ બંધ, 40 હજાર ભક્તો પહોંચ્યા
પિથોરાગઢ જિલ્લામાં આવેલ આદિ કૈલાસના કપાટ પણ ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. આ વર્ષે 40 હજારથી વધુ ભક્તો આદિ કૈલાસ પહોંચ્યા હતા. જે અત્યાર સુધી અહીં આવતા મુસાફરોની સૌથી મોટી સંખ્યા છે. આદિ કૈલાશ સુધીનો રસ્તો બનવાથી અહીં પહોંચવું એકદમ સરળ બની ગયું.