સુરત, જેને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે, ત્યાં હાલ હીરાની મંદીના કારણે દિવાળી વેકેશન પછી અનેક કારખાનાઓ અને ફેક્ટરીઓ શરૂ થઈ નથી. તેની સીધી અસર હવે બાળકોના ભણતર પર પડી રહી છે. વરાછા ઝોનમાં જ્યાં હજારો હીરાના કારખાના-ફેક્ટરીઓ આવેલી છે અને લાખો રત્નકલાકારો વસે છે, ત્યાંની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાંથી 603 જેટલા બાળકોએ એલસી લઈને અધવચ્ચે ભણતર છોડ્યું છે.
આ સ્થિતિનું મુખ્ય કારણ હીરા ઉદ્યોગમાં મંદી હોવાનું માનવામાં આવે છે. સમગ્ર વિશ્વના 100માંથી 90 હીરાના કટીંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. પરંતુ યુક્રેન-રશિયા યુદ્ધ અને એક પછી એક આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને કારણે હીરા ઉદ્યોગમાં મંદી છે. આ વખતે દિવાળી વેકેશન લંબાયું હતું અને વેકેશન પછી પણ મોટાભાગની ડાયમંડ ફેક્ટરીઓ અને કારખાનાઓ ચાલુ થયા નથી. આ પરિસ્થિતિને કારણે લાખો રત્નકલાકારોના આજીવિકા ઉપર પણ આંચકો આવ્યો છે. વરાછા ઝોનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં રત્નકલાકારોના બાળકો મોટી સંખ્યામાં ભણતા હોય છે. હવે, આ બધી સ્કૂલોમાંથી 603 બાળકોએ ફોર્મલ રીતે એલસી લીધી છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ જણાવ્યું હતું કે, વરાછા ઝોનમાં શિક્ષણ સમિતિની કુલ 50 જેટલી સ્કૂલો આવેલી છે. અહીં મુખ્યત્વે રત્નકલાકારોના બાળકો એડમિશન લઈને ભણતા હોય છે. આ 50 સ્કૂલોમાંથી 603થી વધુ વિદ્યાર્થીએ પોતાનું એલસી લઈને સ્કૂલો છોડી દીધી છે. હવે આ વિદ્યાર્થીઓ સ્કૂલોમાંથી એલસી કેમ લઈ ગયા છે, તે અંગે અમારે આગામી દિવસોમાં તપાસ કરીને રિપોર્ટ મગાવવાનો છે.
તેઓએ વધુમાં જણાવ્યું કે, મને એવું લાગે છે કે, હીરામાં આવેલી મંદીના કારણે રત્નકલાકાર વાલીઓ પોતાના બાળકોના એલસી લઈ ગયા હશે. એમના કારખાના કે આજુબાજુના ધંધામાં મંદીનો સામનો કરી રહ્યા હોય તે કારણે પણ આ રીતે વિદ્યાર્થીઓએ સ્કૂલો છોડી હશે. હાલ જે રેકોર્ડ મળે છે તે દિવાળી વેકેશન પછીનો છે. અમે તપાસ કરીને આ વિદ્યાર્થીઓએ સ્કૂલો કેમ છોડી છે, તેની વિગત મંગાવીશું. સાથે જ જે વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર કે આજુબાજુના વિસ્તારોમાં ગયા હોય ત્યાં તેમની એડમિશન પ્રક્રિયાની પણ તપાસ કરીશું. સાથે તેમને ભણતરમાં ખલેલ ન પડે તે માટે પ્રભાવશાળી પગલાં લઈશું.