બારડોલીના એક માનસિક બીમાર યુવકની દવા પૂરી થઈ જતાં તેણે પરેશાનીમાં ‘સુરત એરપોર્ટને કોઈ બોમ્બથી ઉડાવી દેવાનું છે’ એવો કોલ કરી દીધો હતો. એલસીબી અને ગ્રામ્ય એસઓજીએ તેને ઘરેથી દબોચી લીધો હતો. આ યુવકનું નામ સાબીર બસીર મન્સુરી (40)(રહે, મદિના કોમ્પ્લેક્સ, બારડોલી) છે. તે ગોદડાં બનાવવાની મજૂરી કરે છે, તેની પત્ની દિવ્યાંગ છે તથા 3 સંતાનો છે. તે એક મહિનાથી બીમાર હતો. 10 દિવસથી દવા લાવવા રૂપિયાના ન હતા જેથી હતાશામાં તેણે પોતાના જ મોબાઇલ ફોન પરથી પોલીસને કોલ કરી દીધો હતો.
‘અમે સુરત સ્ટેશન પર ઊભા હતા ત્યારે બે શખ્સો એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની વાતો કરતા હતા’ એવી વાત ઉપજાવી કાઢી સાબિરે પોલીસને કોલ કર્યો હતો. જેથી એસઓજી, ડુમસ પોલીસ તેમજ ડોગ-સ્કોવોડ એરપોર્ટ પર દોડી ગઈ હતી અને વાહનોની તપાસ કરી હતી. પેસેન્જરોના સામાન સહિતની સીઆરપીએફના સ્ટાફે તપાસ કરી હતી. એરપોર્ટનો તમામ વિસ્તાર ખૂંદી વળવા છતાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. પોલીસે સીઆરપીએફની સાથે 3 કલાક સુધી એરપોર્ટનું ચેકિંગ કર્યું હતું. છેવટે આ અફવા જ સાબિત થઈ હતી.