અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. મંદિરે દર્શન કરવા ગયેલા દંપતીને ટ્રકે અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. SP રિંગ રોડ પર થયેલા અકસ્માતમાં બે નિર્દોષનાં મોત થતાં તેમના પરિવારમાં દુઃખનો માહોલ સર્જાયો છે..
અમદાવાદના SP રિંગ રોડના પાંજરાપોળ ચાર રસ્તા પાસેથી પસાર થતાં સમયે કાંતિભાઈ રવજીભાઈ પટેલ આશરે ઉં.વ. 62 અને દક્ષાબેન કાંતિભાઈ પટેલ ઉં.વ. 60ને ટ્રકે અડફેટે લીધા હતાં. મંદિરે દર્શન કરીને ઘરે પરત ફરતા સમયે દંપતી પર ટ્રકનું ટાયર ફરી વળતા શરીરનાં ચીથરાં ઊડી ગયાં હતાં. ઘટનાની જાણ થતાં રામોલ પોલીસ અને I ડિવિઝન પોલીસ સ્થળે દોડી ગઈ હતી. બનાવ સ્થળે પહોંચેલી પોલીસે બન્ને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરી હતી. એસપી રિંગ રોડ પર બનેલા આ બનાવ બાદ ટ્રાફિકજામ થઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા તમામ પ્રક્રિયા હાથ ધરીને આરોપીને પકડવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.