જે ગુનેગારો ભારતમાં ગુના કરીને વિદેશ ભાગી જતા અથવા વિદેશમાં બેસીને ભારતમાં ક્રાઈમ સિન્ડિકેટ ચલાવે છે તેવા ગુનેગારો સામે હવે રાજ્યોની પોલીસને પણ ઈન્ટરપોલ જેવું શક્તિશાળી હથિયાર મળશે. હકીકતમાં ગૃહ મંત્રાલય ભારતમાં ‘ભારતપોલ’ શરૂ કરવા જઈ રહ્યું છે. જે ઈન્ટરપોલની જેમ જ ગુનેગારો વિશેની માહિતી શેર કરવા અને તેમની સામે તાત્કાલિક પગલાં લેવાનો માર્ગ મોકળો કરશે. 7 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવશે.
‘ભારતપોલ’ નો ઉદ્દેશ્ય માત્ર ગુનેગારોને પકડવાનો જ નથી પરંતુ તેમની સામે સમયસર કાર્યવાહી કરવી અને ગુનાઓને જડમૂળથી નાબૂદ કરવાનો છે. આ એક એડવાન્સ ઓનલાઈન પોર્ટલ છે. જે સીબીઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેનું ટ્રાયલ પૂરું થઇ ચોક્યું છે. હવે ફક્ત તેની ઔપચારિક શરૂઆત થવાની બાકી છે.
ભારતમાં રાજ્યોની પોલીસ અને તપાસ એજન્સીઓને માહિતી મેળવવા અથવા વિદેશમાં છુપાયેલા ગુનેગારોને પકડવા માટે વારંવાર ઇન્ટરપોલનો આશરો લેવો પડે છે. હાલની પ્રક્રિયામાં રાજ્ય સરકારે પહેલા સીબીઆઈનો સંપર્ક કરવો પડે છે. ત્યારબાદ સીબીઆઈ ઈન્ટરપોલનો સંપર્ક કરે છે અને જરૂરી નોટિસ જારી કરવાની માંગ કરે છે. આ સમગ્ર પ્રક્રિયા માત્ર જટિલ જ નથી પરંતુ ઘણો સમય પણ લઇ લે છે. આ સમસ્યાના ઉકેલ માટે ‘ભારતપોલ’ શરૂ કરવામાં આવી રહ્યું છે. તેની મદદથી ગુનેગારો સામે રેડ નોટિસ, ડિફ્યુઝન નોટિસ અને અન્ય જરૂરી ઇન્ટરપોલ નોટિસ જારી કરવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે. હાલમાં જો રાજ્યોએ પોતાની વિનંતીઓને ટ્રૅક કરવા માંગતા હોય તો રાજ્યોએ CBIને ફરીથી ઇમેઇલ અથવા ફેક્સ કરવો પડે છે. પરંતુ હવે પોલીસ સીધી ‘ભારતપોલ’ પર તેમની વિનંતીને ટ્રૅક કરી શકશે.
‘ભારતપોલ’ હવે નોટિસ જરી કરશે? ના, ઈન્ટરપોલ દ્વારા જ નોટિસ જારી કરવામાં આવશે. જ્યારે ગુનેગારની માહિતી અથવા તો તેના લોકેશનની માહિતી જોઈતી હોય તો પોલીસ ‘ભારતપોલ’ દ્વારા સીધી ઇન્ટરપોલને વિનંતી મોકલી શકશે. જો ઇન્ટરપોલ તે વિનંતીનો સ્વીકારે કરે છે. તો પછી સંબંધિત ગુનેગાર સામે રેડ નોટિસ, ડિફ્યુઝન નોટિસ અથવા અન્ય પ્રકારની નોટિસ જારી કરવામાં આવશે. ‘ભારતપોલ’ નો ઉદ્દેશ્ય ઇન્ટરપોલ સાથેનો વ્યવહાર ઝડપી બનાવવાનો છે.



