ભાવનગર શહેરમાંથી સુરત, અમદાવાદ, વડોદરા, આણંદ, ભરૂચ વિગેરે શહેરોમાં જતી એસ.ટી. બસો નારી ચોકડીથી પસાર થાય છે પરંતુ આ બસો નારી ગામ પાસે ઉભી રહેતી નથી. જેથી નારી ગામમાં વસવાટ કરતા લોકો તથા વિદ્યાર્થીઓને ચાર-પાંચ કિ.મી. દુર નારી ચોકડીએ આવવુ પડે છે. આ રોડ ઉપર સતત ટ્રાફીક રહેવાના કારણે લોકોને નારી ગામથી ચોકડી સુધી આવવામાં ખુબ જ તકલીફ પડે છે અને સમયનો પણ ખોટો વ્યય થાય છે.
આ વિસ્તારનો ખુબ જ ઝડપી વિકાસ થઈ રહયો છે, આજુબાજુમાં રેસીડેન્સીયલ વિસ્તાર પણ વધી રહયો છે. ખાસ કરીને આ સ્થળેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બહારગામ જવા માટે દિવસ દરમ્યાન બસની રાહ જોતા હોય છે. આ રૂટ ઉપરથી આવતી-જતી એસ.ટી.ની. તમામ બસો ઉભી નહી રહેવાના કારણે મુસાફરોને મુશ્કેલી પડે છે.
આ તમામ બાબતો ધ્યાને લઈ નારી ગામ મુકામે યોગ્ય સ્થળે કાયમી બસ સ્ટોપ આપવુ જોઈએ જેથી કરીને મુસાફરોને સહેલાઈથી એસ.ટી. બસ મળી રહે. જેથી નારી ગામમાં એસ.ટી. બસોનો સ્ટોપ આપવા ભાવનગર એસ.ટી. ડીવીઝનનાં ડી.સી.ને કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલે પત્ર પાઠવી રજુઆત કરી છે.