સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 4 એપ્રિલ સુધી ચાલશે. કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે. વકફ (સુધારા) બિલ 2024નો ઉદ્દેશ્ય ડિજીટલાઇઝેશન, સારુ ઓડિટ, વધુ સારી પારદર્શિતા અને ગેરકાયદેસર રીતે કબજે કરેલી મિલકતોને પાછી લેવા સહિતની કાયદાકીય વ્યવસ્થામાં સુધારા લાવીને આ પડકારોને ઉકેલવાનો છે.
લખનૌમાં આયોજિત બેઠક બાદ પ્રમુખ જગદંબિકા પાલે કહ્યું કે જેપીસીની છેલ્લી બેઠક 24 જાન્યુઆરીએ યોજાયા પછી 31 જાન્યુઆરીએ યોજાનારા બજેટ સત્ર દરમિયાન સંસદમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે. પાલે કહ્યું- છેલ્લા 6 મહિનામાં અમે દિલ્હીમાં 34 બેઠક કરી છે. જેપીસીની તમામ ચર્ચાઓ સારા વાતાવરણમાં થઈ છે. મને આશા છે કે લોકોને અમારા રિપોર્ટથી ફાયદો થશે.
વકફ (સંશોધન) બિલ 2024 પર સંયુક્ત સંસદીય કમિટી (JPC)ની બેઠકમાં હોબાળો થયો હતો. વિપક્ષના સભ્યોએ દાવો કર્યો હતો કે તેમને ડ્રાફ્ટમાં સૂચિત ફેરફારો પર રિસર્ચ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી. મીરવાઈઝને બોલાવતા પહેલા કમિટીના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. વિપક્ષના નેતાઓએ આરોપ લગાવ્યો કે દિલ્હી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ વક્ફ સંશોધન બિલ પર રિપોર્ટને ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરવા પર ભાર આપી રહ્યું છે. બોલાચાલી અને હોબાળાના કારણે બેઠકની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી. આ પછી વિપક્ષના 10 સાંસદોને એક દિવસ માટે બેઠકમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.