કોલકાતા બળાત્કાર-હત્યા કેસમાં પીડિત મેડિકલ વિદ્યાર્થિનીનાં માતા-પિતા હવે ગુનેગાર સંજય રોયને મૃત્યુદંડની સજા આપવાનો વિરોધ કરી રહ્યાં છે. પીડિતાનાં માતા-પિતાનું પ્રતિનિધિત્વ કરતી વકીલ ગાર્ગી ગોસ્વામીએ સોમવારે કોલકાતા હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે તેઓ કહી રહ્યા છે કે અમારી દીકરીનો જીવ ગયો, એનો અર્થ એ નથી કે સંજયનો પણ જીવ જાય.
સિયાલદહ કોર્ટે 18 જાન્યુઆરીએ સંજયને દોષિત જાહેર કર્યો હતો. જસ્ટિસ અનિર્બાન દાસે ઘટનાના 164મા દિવસે સજા પર 160 પાનાંનો ચુકાદો સંભળાવ્યો હતો. દાસે ચુકાદામાં કહ્યું હતું કે આ કેસ રેરેસ્ટ ઓફ ધી રેર કેટેગરીમાં આવતો નથી, તેથી મૃત્યુદંડની સજા કરવામાં આવી નથી. CBI અને પીડિતાના પરિવારે ફાંસીની સજાની માગ કરી હતી.
20 જાન્યુઆરીના રોજ સિયાલદાહ કોર્ટે સંજય રોયને આજીવન કેદ (મૃત્યુ સુધી જેલ)ની સજા ફટકારી. એ જ દિવસે માતા-પિતાએ એમ પણ કહ્યું હતું કે તેઓ સેશન્સ કોર્ટના દોષિત સંજય રોયને આજીવન કેદની સજા ફટકારવાના નિર્ણયથી સંતુષ્ટ નથી. સેશન્સ કોર્ટમાંથી નિર્ણયની નકલ મળ્યા પછી અમે હાઇકોર્ટમાં જઈશું. બીજી તરફ કોલકાતા હાઈકોર્ટે સોમવારે સીબીઆઈ અને બંગાળ સરકાર દ્વારા ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. બંનેએ ગુનેગાર સંજય માટે મૃત્યુદંડની અપીલ કરી છે.
હાઈકોર્ટમાં જસ્ટિસ દેબાંગ્શુ બસક અને જસ્ટિસ મો. શબ્બર રશીદીની બેંચ સમક્ષ CBIના વકીલે અરજી કરવાના બંગાળ સરકારના અધિકારનો વિરોધ કર્યો હતો. CBIના ડેપ્યુટી સોલિસિટર જનરલ રાજદીપ મજુમદારે કહ્યું હતું કે બંગાળ સરકારને અરજી કરવાનો અધિકાર નથી. તેમણે દાવો કર્યો હતો કે તપાસ એજન્સી CBI હોવાથી માત્ર એજન્સીને જ એ આધાર પર અરજી કરવાનો અધિકાર છે કે સજા પૂરતી નથી. CBIએ ટ્રાયલ કોર્ટમાં ફાંસીની સજા આપવા માટે પણ અપીલ કરી હતી.
બંગાળ સરકારના એડવોકેટ જનરલ કિશોર દત્તે કહ્યું હુતં કે ફરિયાદી એજન્સી, પરિવાર, દોષિત ઉપરાંત રાજ્ય પણ સજા સામે અપીલ કરી શકે છે. તેમણે કહ્યું હતું કે શરૂઆતમાં કોલકાતા પોલીસ કેસની તપાસ કરી રહી હતી. આ કેસ 13 ઓગસ્ટ 2024ના રોજ CBIને સોંપવામાં આવ્યો હતો.