ગુજરાત પોલીસે ચાર મહાનગર સહિત અલગ અલગ જિલ્લાના 7612 ગુનેગારની કરમકુંડળી તૈયાર કરી કેડ ભાંગી નાખવાની કામગીરી શરૂ કરી દીધી છે. હાર્ડકોર ક્રિમિનલ સામે પાસા અને તડીપાર જેવાં પગલાં લેવાની સાથે સાથે જે લુખ્ખાઓએ ગેરકાયદે બાંધકામો ખડક્યાં હોય એની તપાસ કરી એના પર બુલડોઝર ફેરવી દેવાશે. અમદાવાદમાં ગુનેગારોના ગેરકાયદેસર મકાનો તોડવાની કાર્યવાહી મોડી સાંજ સુધી ચાલી હતી. આગામી દિવસોમાં વધુ વિગત સામે આવશે તો બીજા ગુનેગારોની પણ ગેરકાયદે મિલકત તોડવા માટેનો પ્લાન ઘડાશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં સુપર કોપ નિર્લિપ્ત રાય મેદાનમાં ઉતર્યા હતા અને સમગ્ર ડિમોલિશન કાર્યવાહીનું મોનિટરીંગ કર્યું હતું. અમદાવાદના દરિયાપુરમાં કુખ્યાત મનપસંદ જિમખાનાના ત્રીજા માળે ગેરકાયદે બાંધકામ તોડાયું હતું તો સરખેજ, છારાનગર અને શાહીબાગમાં કુખ્યાત કિશોર લંગડાના પુત્રનું ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરાયું હતું. ડિમોલિશન કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી.
વડોદરામાં પણ પોલીસ અને પાલિકા દ્વારા કાર્યવાહી કરાઈ હતી. તરસાલી બાયપાસ પાસે બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફ શંભુના 4 ઝૂંપડા તોડી પડાયા હતા. સાથે જ ઘાઘરેટીયા ગામમાં બુટલેગર વિપુલ પંચાલના બે મકાનને સીલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત ચોરી સહિત ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીના મકાન પર પણ બુલડોઝર ફેરવી દેવાયું હતું. આરોપી ગોવિંદસિંઘ સીકલીગરની ગેરકાયદે મિલકતો પર પણ બુલડોઝર ફરી વળ્યા છે.