25 માર્ચને મંગળવારની વહેલી સવારે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના કર્મચારીઓ દ્વારા રેલવે ટ્રેક અને ઇલેક્ટ્રીક ઓવર હેડ વાયર રિપેરિંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી. વહેલી સવારે છ વાગ્યાથી અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર પૂર્વવત્ કરી દેવામાં આવ્યો છે. રેલવે ટ્રેક પરથી ટ્રેનની અવરજવર શરૂ કરી દેવામાં આવી છે. દુર્ઘટનાના 30 કલાકમાં ક્રેનને દૂર કરીને રેલવે વ્યવહાર ફરી શરૂ કરી દેવાયો છે.
ઘટનાની જાણ થતા હાઈસ્પીડના તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓ મોડી રાતે જ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. તેમણે પિલર ઉપરથી પડી ગયેલી લગભગ 140-140 મેટ્રિક ટન વજનની નીચે પડી ગયેલી બન્ને ગેન્ટ્રીને હટાવવા માટે રાતે જ 500-500 મેટ્રિક ટનની ક્ષમતાની બે હેવી ક્રેઈન મંગાવી હતી. આ ક્રેઈનોને 24 માર્ચને સોમવારે સવારે ટ્રેકની બાજુમાં ગોઠવી કર્મચારીઓ દ્વારા પડી ગયેલી ગ્રેન્ટ્રીને હટાવવાની કામગીરી શરૂ કરી હતી. બપોરે ક્રેઈનની મદદથી ગેન્ટ્રી પિલર ઉપરથી ઉંચકવાની કામગીરી કરતી વખતે ક્રેઈનનું બેલન્સ જળવાતું ન હતું. જેના પગલે આ ક્રેઈનને હટાવી 750 મેટ્રિક ટનની બીજી ક્રેઈન મંગાવી હતી. સાંજે લગભગ 6 વાગ્યા બાદ આ ક્રેઈનની મદદથી ગેન્ટ્રી હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. રાતે 9 વાગ્યા સુધીમાં એક ગેન્ટ્રી હટાવી દેવાઈ હતી. બીજી ગેન્ટ્રી મોડી રાત્રે હટાવી દેવાઈ હતી. બાદમાં વહેલી સવારે હેડ વાયર રિપેરિંગની કામગીરી પૂર્ણ થતાં રેલવે વ્યવહાર ફરી શરૂ કરવામાં આવ્યો છે.
અમદાવાદના સરદાર પટેલ રિંગરોડ પર વટવા નજીક રોપડા રેલવે ઓવરબ્રિજ નજીક 23 માર્ચ (રવિવાર)ના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન 600 ટનની વિશાળકાય ક્રેન તૂટી હતી. અમદાવાદ-મુંબઈ ડાઉન લાઈન પર ક્રેન પડી હતી, જેના કારણે ટ્રેક અને રેલવેના ઓવરહેડ વાયરને નુકસાન થયું હતું. ક્રેન દુર્ઘટનાને પગલે નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા ક્રેનને ઉતારવાની અને રિપેરિંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી હતી.
નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ અને પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના 300 માણસોની મદદથી 24 કલાકમાં ધરાશાયી થયેલી ક્રેનને ઉતારી લેવામાં આવી છે. 750 ટનની એક ક્રેન અને 500 ટનની બે તેમજ 130 ટનની એક ક્રેનની મદદથી આ ક્રેનને ઉતારવામાં આવી છે. ક્રેનને ઉતારી લેવાની કામગીરી મોડીરાત્રે પૂર્ણ કરી દેવામાં આવી હતી.
ટ્રેનને સિગ્નલ મળ્યું હોત તો દુર્ઘટના સર્જાત
વટવા રોપડા બ્રિજની બાજુમાં બુલેટ ટ્રેનના પિલર પર વાયડક્ટ ફીટ કર્યા બાદ પાછી ફરી રહેલી ગેન્ટ્રી નીચે પડી ગઈ હતી. વધુમાં આ ગેન્ટ્રી પડી જવાના કારણે ઓએચઈ વાયર તૂટી જતા વીજ સપ્લાઈ ટ્રીપ થઈ ગયો હતો. તેજસ એક્સપ્રેસ પસાર થયા પછી ગેરતપુર નજીક આજ ટ્રેક પર અન્ય એક ગુડ્સ ટ્રેન વટવા તરફ આવવા માટે સિગ્નલની રાહ જોઈ રહી હતી. જો ભૂલથી પણ આ ટ્રેનને સિગ્નલ મળી ગયું હોત તો આ ગુડ્સ ટ્રેન ગેન્ટ્રી સાથે અથડાઈ હોત અને બીજી મોટી દુર્ઘટના પણ સર્જાઈ હોત.