લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. મિત્રો સાથે
માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે પીપળા અને બૈસાબગઢ ગામ વચ્ચે આ ઘટના
બની હતી. સદનસીબે આ અકસ્માતમાં હકાભા ગઢવીનો આબાદ બચાવ થયો છે અને તેઓ સુરક્ષિત
છે.મળતી માહિતી મુજબ, હકાભા ગઢવી પોતાના મિત્રો સાથે બૈસાબગઢ નજીક આવેલા પ્રસિદ્ધ હિંગળાજ
માતાજીના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા.
હકાભા દર્શન કરીને ફોર્ચ્યુનર કારમાં પરત ફરી રહ્યા હતા તે સમયે અચાનક રસ્તા પર સાપ આડો
ઉતર્યો હતો. સાપને બચાવવાનો પ્રયાસ કરતી વખતે કાર પરથી સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં
ફોર્ચ્યુનર કાર સીધી રસ્તા કિનારે પાણીમાં ખાબકી હતી.
ઘટના સમયે હકાભાની પાછળ જ બીજી ગાડીમાં તેમના અન્ય મિત્રો પણ આવી રહ્યા હતા. અકસ્માત
થતાં જ મિત્રોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને હકાભા ગઢવીને કારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા
હતા. હાસ્ય કલાકાર સુરક્ષિત હોવાના સમાચાર મળતાં જ તેમના ચાહકો અને શુભચિંતકોએ રાહતનો
શ્વાસ લીધો છે.






