ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં રાની પશુઓ અને વન્ય વરુ-સિંહ જેવા જંગલી પશુઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. થોડા સમય પહેલાં જ માલધારી યુવક પર હુમલો થયાની ઘટનાના અહેવાલો હજુ શાંત નથી પડ્યા, ત્યાં ફરી એકવાર સિહોર નજીક માનવ જાત પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. સિહોર તાલુકાના બેકડી ગામે રવિવારે ઢળતી સાંજે અંદાજે ૭:૩૦ વાગ્યે સિંહણે માલધારી યુવાનને નિશાન બનાવી હુમલો કરવાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં ગાયે સિંહણ સાથે બાથ ભીડીને યુવકનો જીવ બચાવ્યો હતો જોકે ગાયને ગંભીર ઇજા થઇ છે.

સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર,સિહોરના બેકડી ગામે ગામતળમાં વાડી ધરાવતા અશોકભાઈ લખમણભાઈ આલ નામના માલધારી યુવાન પર અચાનક સિંહણ તૂટી પડી હતી. જોકે, આ આફત સમયે સિંહણ અને યુવાનની વચ્ચે એક ગાય આવી જતાં ગાય પર હુમલો થયો હતો,જેમાં ગાયે પણ સિંહણ સાથે બાથ ભીડી હતી જેના કારણે સમય સૂચકતા અને સદભાગ્યે યુવાનનો જીવ બચી ગયો હતો. આ ભીષણ હુમલામાં ગાય અને સિંહણ બંનેને ઇજાઓ પહોંચી છે. ગાયે સિંહણ સાથે પરાક્રમ પૂર્વક બાથ ભીડી હતી અને દેકારો થતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ગ્રામજનોના હાકલા-પડકારા અને ગાઝામીડાને કારણે સિંહણ જંગલ તરફ નાસી છૂટી હતી.
સિહોર તાલુકાના વિવિધ વિસ્તારોમાં અવારનવાર રાની પશુઓ દ્વારા ગાય, ભેંસ જેવા મૂગા પશુઓ પર હુમલાની ઘટનાઓ બની રહી છે, પરંતુ હવે આ જંગલી પશુઓ સીધા માનવ વસાહતો સુધી પહોંચી જતાં માનવ જીવન પર પણ ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. સ્થાનિક લોકોમાં આ બાબતે ભારે રોષ અને ગહું વ્યાપેલી ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિક માલધારીઓ અને ગ્રામજનોએ સરકાર તથા વન વિભાગ સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે, વન્ય પશુઓ ગામડાં તરફ કેમ આવી રહ્યા છે તેની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે અને યોગ્ય કાયમી ઉકેલ લાવવામાં આવે. જો સમયસર અસરકારક પગલાં નહીં લેવાય, તો આગામી સમયમાં કોઈ મોટો માનવભોગ લેવાય તેવી ઘેરી ભીતિ સેવાઈ રહી છે. લોકો તથા પશુઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા વહેલી તકે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તે અત્યંત અનિવાર્ય બન્યું છે.






